સંસ્કાર ધામના વિધાર્થી સાથે એવું શું થયું કે યાદશક્તિ જતી રહી?
અમદાવાદની જાણીતી શાળા સંસ્કાર ધામના વિદ્યાર્થી યશ સોનીની શાળામાં આ કારણે ઇજા થવાથી ગુમાવી યાદશક્તિ. માતા પિતાએ શાળાના સંચાલકો સામે કરી ફરિયાદ. જાણો વધુ વિગતવાર અહીં.
અમદાવાદ ધુમા પાસે આવેલી સંસ્કારધામ નામની પ્રખ્યાત શાળાના એક વિદ્યાર્થીની તબિયત લથડતા વિવાદમાં આવી ગઇ છે. વિગતો એવી છે કે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતા યશ સોની નામના વિદ્યાર્થીને ગત તારીખ 24મી ડિસેમ્બરના રોજ સામાન્ય ઝઘડો થતા ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ માથામાં બેટ મારીને ઇજા પહોંચાડી હતી. જેમાં તેને સાતથી આઠ ટાંકા આવ્યા હતા. ત્યારબાદ યશના માતા પિતાને જાણ નહોતી કરવાાં આવી અને ત્યારબાદ અચાનક 7મી તારીખે યશની તબિયત બગડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને તેના ફેમીલી મેમ્બરને જાણ કરી હતી. ત્યારબાદ વધુ તબિયત લથડતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. યશના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે યશની તબિયતએ હદે ખરાબ થઇ છે કે તે તેની યાદ શક્તિ ગુમાવી રહ્યો છે.
યશ સોનીના કાકા સંકેત સોનીએ જણાવ્યું કે યશ છેલ્લાં ત્રણ વર્ષથી સંસ્કારધામની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. અને તેના પિતા વિરમગામ પાસેના નાનકડા ગામમાં પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. ગત 24મી ડીસેમ્બરે કોઇ વિદ્યાર્થીએ તેને માથામાં બેટ માર્યુ હતું જેથી ઇજા થઇ હોવાથી સારવાર કરાવી પણ અમને આ અંગે જાણ કરી નહોતી. પણ ફરીથી તબિયત બગડતા અમને જાણ કરી હતી. આ માટે સંસ્કારધામના સંચાલકો જવાબદાર છે. કારણ કે તે હવે પોતાની યાદ શકિત ગુમાવી રહ્યો છે અને આઇસીયુમાં પણ બાંધીને રાખવો પડે છે.
પોલીસનું શું કહેવું છે?
આ અંગે યશના પરિવારજનોએ બોપલ પોલીસ સ્ટેશનમાં સંસ્કારધામના સંચાલકો સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરી છે. આ બાબતે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ આઇ એચ ગોહિલે જણાવ્યુ કે અમે આ અંગે તપાસ કરી રહ્યા છીએ અને જો સંસ્કારધામની બેદરકારી બહાર આવશે તો કાર્યવાહી પણ કરીશુ.
સંસ્કારધામનું નિવેદન
જ્યારે સંસ્કારધામના બી મહેશ્વરીએ કહ્યું કે તા.24ના રોજ બનેલા બનાવ બાદ યશની સારવાર કરાવી હતી અને તેના પિતાને જાણ કરવા માટે ફોન કરવાના હતા પણ યશે આ માટે ના પાડતા અમે કોલ કર્યો નહોતો. જો કે ફરીથી તબિયત બગડતા તેના માતા પિતાના જાણ કરી હતી અને યશને જરૂરી મદદ કરવા માટે તત્પર છીએ.