સુપ્રીમ કોર્ટે અમિત શાહના જામીન અંગેની સીબીઆઇની અરજી ફગાવી
અપડેટ - 12.57:
સૂત્રોદ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અમિત શાહ પોતાના પરિવાર સાથે દિલ્હીથી નીકળી ગયા છે. અમદાવાદ પરત આવતા પહેલા સૌ પ્રથમ તેઓ સોમનાથ મંદિરે દર્શન કરવા જશે. ભગવાન શંકરના આશીર્વાદ લઇને સાંજે 4 વાગ્યા બાદ તેઓ અમદાવાદ આવશે તેવી શક્યતા છે.
ગુજરાતમાં વર્ષ 2005માં સોહરાબુદ્દીન અને કૌસરબીના નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ પર હત્યા, અપહરણ, અપરાધિક ષડયંત્ર અને વસૂલી સહિતના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. તેમણે જુલાઇ 2010માં આત્મસમર્પણ કર્યું હતું. થોડા મહિના જેલમાં રહ્યા બાદ ઓક્ટોબર 2010માં અમિત શાહને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા. આ નિર્ણય સામે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને ખૂબ મહત્પૂર્ણ માનવામાં આવે છે. અમિત શાહના ગુજરાત આવવાથી મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને ચૂંટણી વ્યૂહ રચવામાં મદદ મળશે એમ માનવામાં આવે છે. આ અંગે ગુજરાત સરકારના પ્રવક્તા જયનારાયણ વ્યાસે જણાવ્યું કે 'સુપ્રીમ કોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ. આ ચૂકાદાથી રાજ્ય સરકારને રાહત મળશે.'
આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે 'કોર્ટની ટ્રાયલ પૂરી થશે ત્યારે સાબિત થશે કે તેઓ નિર્દોશ છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ. ન્યાયતંત્રના નિર્ણયથી અમે ખુશ છીએ.'
ગુજરાત ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ જણાવ્યું કે 'સોહરાબુદ્દીન આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો અને કોંગ્રેસે જે રીતે કેસને ઉઠાવ્યો હતો તે સામે સુપ્રીમ કોર્ટનો તમાચો છે. અમે આવકારીએ છીએ. અમિત શાહ ગુજરાત ભાજપના આગેવાન છે. કાર્યકરોનો ઉત્સાહ વધશે. આગામી ચૂંટણીમાં અમિત શાહના આગમનથી પક્ષને લાભ થશે.'
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સલમાન ખુશીદે જણાવ્યું કે 'સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે તે સમજી વિચારીને આપ્યો છે.'
સુપ્રીમ કોર્ટે અમિત શાહને આપેલી રાહતના પગલે તેમના અમદાવાદના ધાટલોડિયા વિસ્તારમાં આવેલા ઘરે ખુશીનો માહોલ છે. તેમની સોસાયટીના પાડોશીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી છે.