નારણપુરાના MLA પદેથી અમિત શાહનું રાજીનામું
મંગળવારે રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ અમિત શાહે બુધવારે અમદાવાદના નારણપુરાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
મંગળવારે યોજાયેલ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં અમિત શાહ 44 મત સાથે વિજેતા થયા હતા. તેઓ છેલ્લા 20 વર્ષથી ગુજરાતમાં ધારાસભ્ય પદે છે. અમિત શાહ હાલ અમદાવાદના નારણપુરા વિસ્તારથી ધારાસભ્ય હતા, રાજ્યસભામાં વિજય મેળવ્યા બાદ બુધવારે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાના નિવાસસ્થાને જઇ પોતાનું રાજીનામું આપ્યું હતું, આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ભાજપના કેટલાક નેતાઓ પણ હાજર રહ્યા હતા.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપતાં પહેલાં યોજાયેલ વિધાનસભા બેઠકમાં અમિત શાહે સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારા કાર્યકાળમાં મારા મતક્ષેત્રના લોકો દ્વારા મને ખૂબ પ્રેમ મળ્યો, જે માટે હું આભારી છું. ગુજરાતમાં નર્મદા યોજના વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇની સરકારમાં પૂર્ણ થઇ છે અને એમાં નરેન્દ્રભાઇનું સતત માર્ગદર્શન રહ્યું છે. હવે કોઇનામાં એટલી તાકાત નથી કે આ યોજનામાં બાધા નાંખે. 20 વર્ષમાં ભાજપે ગુજરાતને નવી ઊંચાઇએ પહોંચાડ્યું છે. ડિસેમ્બર, 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને ખબર પડશે. રાજ્યસભામાં એનડીએની પૂર્ણ બહુમતી ટૂંક સમયમાં જ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વાત કરતાં અમિત શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી સાથે કામ કરવાની મને તક મળી, એ વાતનો મને ગર્વ છે. ગુજરાતના વિકાસનો સ્વર્ણિમ ઇતિહાસ નરેન્દ્રભાઇએ રચ્યો છે. તેમણે ગુજરાતમાં કર્મચારીને કર્મયોગીનું બિરુદ આપ્યું હતું. હવે વિજયભાઇ અને નીતિનભાઇ નરેન્દ્ર મોદીના સપના સાકાર કરવાનું કામ કરી રહ્યાં છે.