ભાવનગરના કુલ જળાશયોમાં સરેરાશ 64 ટકા પાણીનો જથ્થો બાકી
રાજ્યના ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને ડેમનો જળ સંગ્રહ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 47.54 ટકા છે, નર્મદા અને જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી.
ચોમાસામાં વરસાદ ખેંચાવાને કારણે રાજ્યના ડેમમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને ડેમનો જળ સંગ્રહ તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 47.54 ટકા છે, નર્મદા અને જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા બુધવારના રોજ આ અંગે જાણકારી આપવામાં આવી હતી. રાજ્યમાં 200થી વધુ ડેમ અને જળાશયોમાં પાણીનું સ્તર તેમની કુલ સંગ્રહ ક્ષમતાના અડધાથી ઓછું છે. જેમાં ભાવનગર જીલ્લાના કુલ જળાશયોમાં હજૂ 64 પાણીનો જથ્થો બાકી છે.
Recommended Video
ભાવનગર જીલ્લાના મુખ્ય જળાશયોમાં 8 ડેમમાં 50 ટકા કરતા વધુ પાણી છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુજી ડેમમાં 70.43 ટકા ભરેલો છે. જો વરસાદ ન આવે તો સિંચાઇ કરવું મુશ્કેલ બનશે. વરસાદ ન આવે તો ભાવનગર જીલ્લામાં આવેલા જળાશયો પીવાનું પાણી પૂરુ પાડી શકે છે, પરંતું સિંચાઇ માટે આ પાણી પૂરતું નથી.
ભાવનગર જીલ્લાના જળાશયોમાં પાલિતાણાના શેત્રુંજી ડેમમાં 70.43 ટકા, રજાવળ ડેમમાં 39.60 ટકા, ખારો ડેમમાં 79.33 ટકા, હણોલ ડેમમાં 49.11 ટકા, મહુવાના માલણ ડેમમાં 58.13 ટકા, બગડ ડેમમાં 55.72 ટકા, રોજકી ડેમમાં 65.87 ટકા, ઉમરાળાના રંઘોળા ડેમમાં 60.26 ટકા, ભાવનગરના લાખણકા ડેમમાં 17.93 ટકા, તળાજાના હમીરપરા ડેમમાં 1.98 ટકા, જસપરા (માંડવા) ડેમમાં 17.47 ટકા, પીંગલી ડેમમાં 81.52 ટકા પાણીનો જથ્થો ઉપલ્બ્ધ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ બુધવારના રોજ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદની અછત રહે છે, અત્યાર સુધી નોંધાયેલા સામાન્ય વરસાદથી -45 ટકાની અછત છે. IMDના અહેવાલ મુજબ ગુજરાતમાં 1 જૂનથી 10 ઓગસ્ટ વચ્ચે સામાન્ય વરસાદથી -45 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા માટે 458.8 mm સામાન્ય વરસાદની સામે રાજ્યમાં માત્ર 252.7 mm વરસાદ નોંધાયો છે. સરકારે જણાવ્યું હતું કે, 207 ડેમોમાંથી માત્ર પાંચ ડેમ કાંઠે ભરાયા છે, અને તેમાંથી ચાર ડેમ સૌરાષ્ટ્ર અને એક દક્ષિણ ગુજરાતમાં છે.
ચાલુ ખરીફ સિઝનમાં 75,73,106 હેક્ટર જમીનમાં વાવણી પૂર્ણ થઈ ગઈ હોવાને કારણે રાજ્ય સરકારે 30 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી પુરૂ પાડ્યા બાદ 5 લાખ હેક્ટર જમીનમાં ડેમમાંથી ઉભા પાકને પાણી આપવાનું નક્કી કર્યું છે. મંગળવારના રોજ આ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી અરવલ્લી અને ગાંધીનગરમાં ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં "અછત" વરસાદ નોંધાયો છે, જ્યારે બાકીના 31 જિલ્લાઓમાં "અપૂરતો" વરસાદ નોંધાયો છે. IMDએ આ અંગે એક અહેવાલમાં જાણકારી આપી હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલા ઝોન મુજબના આંકડા અનુસાર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદના 31.2 ટકા સાથે પૂર્વ-મધ્ય વિસ્તારોમાં 34.72 ટકા, સૌરાષ્ટ્રમાં 33.8 ટકા, કચ્છમાં 31.74 ટકા અને ઉત્તર ભાગમાં 31.2 ટકા વરસાદ નોંધાયો છે.