અમદાવાદની એપોલો હોસ્પિટલ્સ દ્વારા 'એપોલો ઇવનિંગ ક્લિનિક'નો પ્રારંભ
અમદાવાદ, 16 જૂન : આરોગ્ય સેવા વિતરણના અને દર્દીઓને આરોગ્ય સેવા વધુ સુલભ બનાવવાના ક્ષેત્રે નવા ગુણવત્તાયુક્ત ધારાધોરણો સ્થાપતા, અમદાવાદની એપોલો હોસ્પિટલ્સે એક અદ્વિતીય કન્સેપ્ટ 'એપોલો ઇવનિંગ ક્લિનિક' નો પ્રારંભ કર્યો છે. આ કન્સેપ્ટના માધ્યમથી એપોલો હોસ્પિટલ્સ જેમને કામના કલાકો દરમિયાન હોસ્પિટલની મુલાકાત લેવાનું મુશ્કેલ હોય એવા કામ કરતા વ્યવસાયિકોને બેઝિક કન્સલ્ટીંગ સર્વિસીઝ અને આવશ્યક તબીબી ચકાસણીની સેવા પૂરી પાડવાની યોજના ધરાવે છે.
એપોલો ઇવનિંગ ક્લિનિક અમદાવાદના ભાટ ગામ પાસે જીઆઇડીસી ખાતે આવેલી એપોલો હોસ્પિટલ્સમાં સાંજના કલાકોમાં સોમવારથી શુક્રવાર સુધી આ સગવડતાભર્યા સમયની સેવાઓ પ્રદાન કરશે.
આ સગવડતાભર્યા સમય ઉપરાંત એપોલો ઇવનિંગ ક્લિનિક એક જ છત હેઠળ સિટી સ્કેન, એમઆરઆઇ, પેથોલોજી અને રેડિયોલોજી વગેરે જેવી તબીબી તપાસની સુવિધા પણ પૂરી પાડશે, જેનો લાભ સાંજના કલાકો દરમિયાન લઈ શકાશે. આના લીધે ઝડપી નિદાન અને ઉપચાર સુનિશ્ચિત થશે. ઇવનિંગ ક્લિનિકમાં કન્સલ્ટેશન ફીમાં 50 ટકાની છૂટ અને તબીબી ચકાસણી પર 20 ટકાની છૂટ પણ પૂરી પડાશે.
એપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ચીફ ઓપરેટિંગ ઓફિસર મેજર જનરલ (નિવૃત્ત) ડો. રાજેશ કામરાને જણાવ્યું હતું કે, 'એપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ સર્વગ્રાહી આરોગ્ય સેવા પૂરી પાડે છે જેમાં દર્દી તથા, તેમના પરિવારજનો અને ગ્રાહકોને રોગ સામે અગમચેતી, ઉપચાર, પુનર્વસન અને આરોગ્યલક્ષી શિક્ષણનો સમાવેશ થાય છે. એપોલો હોસ્પિટલ્સમાં અમે હંમેશા આરોગ્ય સેવામાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરીએ છીએ તથા આ દિશામાં અમે ઘણી પહેલનો પ્રારંભ કર્યો છે. ‘એપોલો ઇવનિંગ ક્લિનિક'નો અદ્વિતીય ખ્યાલ આ પ્રકારની જ એક પહેલ છે. અગાઉ પોતાના કામ અથવા ઓફિસના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢવો જેમના માટે મુશ્કેલ હતું ખાસ કરીને એવા લોકો માટે તે આરોગ્ય સેવાનો પ્રસાર કરશે.'
અમદાવાદની એપોલો હોસ્પિટલ્સ એ એપોલો હોસ્પિટલ્સ જૂથ અને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ વચ્ચેના સંયુક્ત સાહસરૂપ છે. આ હોસ્પિટલ 276 બેડથી વધુની બેડ ક્ષમતા ધરાવે છે. પાછલા દાયકા દરમિયાન એપોલો હોસ્પિટલ્સ, અમદાવાદ ક્રિટિકલ કેર મેડિસીનના મામલે એક સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે પ્રસ્થાપિત થઇ છે તથા તે ગંભીર રીતે બીમાર દર્દીઓની સારવાર માટે એક ભરોસાપાત્ર સ્થળ તરીકે ઊભરી છે. આ હોસ્પિટલની ક્રિટિકલ કેર સુવિધા ગુણવત્તાની દૃષ્ટિએ ગુજરાતમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ સુવિધાઓ પૈકી સ્થાન ધરાવે છે તથા ભારતની ક્રિટિકલ કેર સુવિધાઓને આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની સમકક્ષ મૂકવાની દિશા ભણી લેવાયેલું એક પગલું છે.
તાજેતરમાં જ અમદાવાદની એપોલો હોસ્પિટલ્સે પોતાના ઉત્કૃષ્ટ કક્ષાના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં વધુ 11 બેડના ઉમેરા સાથે ગુજરાતમાં ખાનગી માલિકીના સૌથી વિશાળ ક્રિટિકલ કેર સેન્ટર્સ પૈકીના એક તરીકેનું બહુમાન પણ પ્રાપ્ત કર્યું છે. આઇસીયુમાં આ હોસ્પિટલ્સની કુલ બેડ ક્ષમતા 89 બેડની થઈ છે.
એપોલો હોસ્પિટલ્સના સ્થાપક ચેરમેન ડો. પ્રતાપ સી. રેડ્ડી પ્રત્યેક નાગરિકને મળી શકે એવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તરની આરોગ્ય સેવાઓ આપવાનો ધ્યેય ધરાવતા હતાં. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ચેરમેન શ્રી આઇ. એ. મોદીના જીવન અને સમયમાં પણ આ જ ભાવનાનું પ્રતિબિંબ જોવા મળે છે. તેમનું માનવું હતું કે વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન અને નવીન રીતભાત સૌ કોઇને પોસાઇ શકે એવી આરોગ્ય સેવા સુનિશ્ચિત કરી શકે છે.