ગેરકાયદે બાંધકામ અટકાવવા શખ્સનો નિઃવસ્ત્ર વિરોધ
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો.
ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
ગેરકાયદે બાંધકામ અટકાવવા શખ્સનો નિઃવસ્ત્ર વિરોધ
નવસારી જિલ્લામા ગેરકાયદેસર થતા બાંધકામ અટકાવવા સેવા સંસ્થા દ્વારા સતત એકસોને આઠ દિવસથી કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં અધિકારીઓએ કોઇ પણ પ્રકારની કાર્યવાહી ના કરતા. પ્રેમ પ્રકાશ જુબે નામના એક વ્યક્તિએ નિર્વસ્ત્ર બની આ વાતનો વિરોધ કર્યો હતો. અને અધિકારીઓના કારણે પોતાનું મકાન ગુમાવ્યાની કેફિયત રજૂ કરી હતી. ન્યાયની આશા રાખતા ધરણા ઉપર બેઠેલા ઈસમે 108 દિવસ બાદ ધીરજનો અંત આવતા કલેક્ટર કચેરીમાં જ વસ્ત્રોનો ત્યાગ કરતા આખા જિલ્લામાં આ ઘટના ચર્ચાસ્પદ બની હતી.
પાટીદાર દીકરીઓ અન્ય જ્ઞાતિમાં યુવતીઓ લગ્ન ન કરે તેવી એસપીજી ગ્રુપની દરખાસ્ત
થોડા સમય પહેલા પાસ દ્વારા મેરેજ નોંધણી કાયદામાં સુધારો કરવાની માગ કરાયા બાદ હવે એસપીજી દ્વારા પણ પાટીદાર યુવતીઓ આંતરજ્ઞાતિય લગ્ન ન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા કોઇપણ ભોગે અન્ય સમાજમાં લગ્ન કરતી પાટીદાર યુવતીઓને રોકવાની જાહેરાત કરવામાં આવી છે .લાલજી પટેલના મતે પાટીદાર યુવતીઓ અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે છે તેથી જ્ઞાતિના યુવકો માટે યુવતીઓનું પ્રમાણ ઓછું થતું જાય છે. લાલજી પટેલે પાટીદાર સમાજમાં દર હજાર યુવાનોએ ૫૦૦ જ યુવતીઓ હોવાનું જણાવ્યું હતું.
ભાજપમાં જાહેર થઈ ટીમ વિજય રૂપાણી
ભાજપ પ્રદેશની નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં ઉપપ્રમુખ પદે આઠ લોકોની વરણી કરી હતી. જેમાં ઉપપ્રમુખના પદે આઈ.કે.જાડેજા તથા ગોરધન ઝડફિયા, જયસિંહ ચૌહાણ, ભાર્ગવ ભટ્ટ ઉપરાંત જસવંતસિંહ ભાભોર, જયશ્રીબહેન પટેલ, જસુબહેન કોરાટ અને રમીલાબહેન બારાની વરણી કરવામાં આવી છે તો આઇ. કે જાડેજાને પ્રવક્તા પદેથી હટાવીને ભરત પંડ્યાને આ જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે મહામંત્રી પદે ભીખુભાઈ દલસાણીયા, ભરતભાઈ પરમાર, મનસુખભાઈ માંડવીયા, કે.સી.પટેલ અને શબ્દશરણ બ્રહ્મભટ્ટની નિમણૂંક કરાઈ છે. જો, કે મહામંત્રી તરીકે કોઈ ફેરફાર કરાયો નથી.
એકસાઇઝ મુદ્દે સરકારનો વિરોધ કરવા મોરબીમાં સદબુદ્ધિ યજ્ઞનું આયોજન
કેન્દ્ર સરકાર દ્વારા સોના પર એક્સાઈઝ લગાવવાના નિર્ણયનો સોની વેપારીઓ દેશભરમાં ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે સોની વેપારીઓએ નાણામંત્રી અરૂણ જેટલી તથા સરકારમાં સદબુદ્ધિ આવે તે માટે યજ્ઞ કર્યા હતા. સોની વેપારીઓ દ્વારા ચાલતા વિવિધ વિરોધના કાર્યક્રમો છતાં સરકાર ટસની મસ થતી નથી બીજી તરફ સોની વેપારીઓ પણ છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે જેમાં સરકાર વિરુદ્ધ વિવિધ નવતર પ્રયોગો કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ મહિલાઓ દ્વારા રેલી પણ યોજાઇ હતી. અને પોસ્ટર પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
મદ્રેસા ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્ય, હાઇકોર્ટમાં પીટીશન
જૂનાગઢના વંથલીમાં આવેલી એક મદ્રેસામાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતું હોવાની વિગતો સામે આવી છે. મદ્રેસાના બે ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કરતા હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન થઇ હતી. જાન્યુઆરી મહિનામાં આ મુદ્દે પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ પોલીસે આરોપીઓને પકડવા અંગે કે કાયદા અનુસારની કાર્યવાહી કરવા અંગે કોઈ નક્કર પગલાં લીધા નથી તેવો અરજદાર વિદ્યાર્થીઓનો આક્ષેપ છે. આ પીટીશનને પગલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસને નોટીસ ફટકારી છે અને ખુલાસો કરવા આદેશ કર્યો છે.
વલસાડમાં દીપડાનો બે યુવાનો પર જીવલેણ હુમલો
વલસાડના અંતરિયાળ ગદારીયા ગામે દિપડાએ આતંક મચાવ્ય હતો. આજે વહેલી સવારે દીપડાએ બે યુવાનો પર હુમલો કર્યો હતો જેમાં બે યુવાનોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા હતા. યુવાનો પર હુમલો કર્યા બાદ દિપડો એક નજીકના ઘરમાં ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના બાદ ગ્રામજનોએ વનવિભાગને જાણ કરાતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી અને દિપડાને પકડવાની કામગીરી હાથ ધરી હતી. તેમાં ગ્રામજનો પણ જોડાયા છે.
જૂનાગઢમાં કેસર કેરીની પ્રથમ હરાજી શરૂ થઈ
આ વર્ષે કેસરનું મબલખ ઉત્પાદન થતાં એપ્રિલ મહિનાની મધ્યમાં જ કેરીમાં ફળોની રાણી કહેવાતી કેસર કેરીની હરાજી શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે કેસર કેરીની ઉપજ સારી થઈ છે. તેથી વેપારીઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે સાથે કેરીનાં ભાવમાં સ્થિરતા રહેશે અને દરેક લોકો કેરીનો મધુરો સ્વાદ માણી શકશે. આ વર્ષે હજી સુધી કેરીના પાકને કોઈ કુદરતી આપત્તિ નડી નથી તેથી કેસરના પાકમાં ઘણો વધારો જોવા મળ્યો છે.