ભરતસિંહના રાજીનામની અટકળોથી અશોક ગેહલોતે નારાજ, માંગ્યો ખુલાસો
ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી. જો કે ભરતસિંહ હાલ વિદેશ પ્રવાસે છે તે દરમિયાન કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે ભરત સિંહ પાસે ખુલાસો માંગ્યો હોવાની વિગતો બહાર
છેલ્લા બે દિવસથી ગુજરાતના રાજકારણમાં વિપક્ષના નેતા ભરત સિંહ સોલંકીના રાજીનામાની ઘટનાને ઘણો વેગ મળ્યો હતો. ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની હતી ત્યારે હાલમાં તો ભરતસિંહ વિદેશ પ્રવાસે છે તે દરમિયાન કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે ભરત સિંહ પાસે ખુલાસો માંગ્યો હોવાની વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ભરતસિંહે આ અટકલો બાદ સ્પષ્ટતા કરી જ હતી કે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી અને પક્ષ જે જવાબદારી આપશે તે એ નિભાવશે. જોકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપી દીધાની વાત બહાર આવ્યા પછી ભરતસિંહે તેનો ઇન્કાર કર્યો હોવા છતાં કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે આ સંદર્ભે તેમનો ખુલાસો માંગ્યો હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે અશોક ગેહલોતે ભરતસિંહ પાસે સ્પષ્ટપણે એવો ખુલાસો માંગ્યો છે કે, તેઓ પ્રમુખપદે ચાલુ રહેવા માંગે છે કે નહીં કોંગ્રેસના વર્તુળોના જણાવ્યા મુજબ ભરતસિંહે રાજીનામું આપતા ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત નારાજ થયા હોવાનું માનવામાં આવે છે. દિલ્હી ખાતે કોંગ્રેસ મહાઅધિવેશન દરમિયાન એઆઇસીસીના ડેલિગેટ્સની નિમણૂકમાં ભરતસિંહે પોતાના જ માણસોને વધુ પ્રાધાન્ય આપ્યું હોવાની ફરિયાદો કરવામાં આવી હોવાનું કહે છે. જેના પગલે કેન્દ્રીય કોંગ્રેસ કમિટિએ મહાઅધિવેશન દરમિયાન ભરતસિંહને આડેહાથ લીધા હોવાની પણ ચર્ચા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અંદરોઅંદર ચાલી રહી છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે ભરતસિંહે વિધાનસભાની ચૂંટણી દરમિયાન માત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે જ રહ્યા હતા, અન્ય સ્થળે પ્રચાર કરવા ગયા નહોતા તો બીજી તરફ ભરતસિંહ દર વર્ષે માર્ચ મહિનામાં વિદેશ પ્રવાસે જાય છે ત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત સેનાપતિ વગરના લશ્કર જેવી બની છે ત્યારે હાલમાં ભરતસિંહના બદલે નવા પ્રમુખ કોને બનાવવા તે અંગે પણ મોવડી મંડળ વિચાર વિર્મશ કરી રહ્યા હોવાની માહિતી બહાર આવી છે.