જાણો તમારા ઉમેદવારને: ગઢડાથી ભાજપના આત્મારામભાઈ પરમાર
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગઢડાની સીટ પરથી ભાજપના આત્મારામ પરમારને ટિકિટ આપવામાં આવી છે. આત્મારામ પરમાર વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ગઢડાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે આત્મારામ પરમારની પસંદગી કરવામાં આવી છે. તો આત્મારામ પરમાર વિષે થોડુ જાણીએ. આત્મારામભાઈનો જન્મ 28 નવેમ્બર, 1952ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સદોજમાં થયો હતો. આતમારામભાઈના પિતાનું નામ મકનભાઈ લાલજીભાઈ પરમાર છે. આત્મારામભાઈએ એમ.એ. અને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સૌ પ્રથમ 1993માં થયેલ વિધાનસભાની ઉપચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા અને જીત્યા હતા.
ગઢડા વિધાનસભા સીટ એસ.સી. માટે આરક્ષિત છે. વર્ષ 2007 અને 2012 બંન્ને વિધાનસભાની ચૂંટણીમાં આત્મારામાભાઈ અહી વિજેતા બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના પ્રવીણભાઈ મારૂને 64,053 મતોથી હાર આપી હતી. હાલ આત્મારામભાઈ અહીના ધારાસભ્ય છે. myneta. in પરથી મળતી માહિતી અનુસાર તેમને બે પુત્ર છે. તેમની પત્નીનું નામ મધુબેન છે. તેમનો મુખ્ય વ્યવસાય વકીલ અને ખેતી કરવાનો છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો. તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો તેમની પાસે લગભગ 1.5 કરોડની સંપત્તિ છે.