ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
આશુતોષના હાથમાં ગુજરાત આપની કમાન
2017ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પંજાબ, ગોવા અને ગુજરાત ખાતે પોતાનું ખાતું ખોલવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે તેમના નેતા આશુતોષને ગુજરાતની કમામ સોંપી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ આશુતોષે ગુજરાતની મુલાકાત લઇને ગુજરાત સરકારની ટોલ ટેક્સ નીતિ અંગે જાટકણી નીકાળી હતી ત્યારે જ ચર્ચાઓ થઇ રહી હતી કે ગુજરાતમાં આશુતોષને કેજરીવાલ તેમનો નવો ચહેરો બનાવી શકે છે.
સાવરકુંડલામાં પાંચ સિંહના ધામા, ગાયોનું મારણ કર્યું
સાવરકુંડલા અને રાજુલા પાસે આવેલા થોરડી ગામે પાંચ સિંહ ઘૂસી આવ્યા હતા. વહેલી સવારે આવી ચડેલા સિંહોએ પાંચ ગાયનો શિકાર કર્યો હતો તેમજ એક બળદ અને એક વાછરડાને પણ ઇજા પહોંચાડી હતી. વન વિભાગ દ્વારા સિંહોએ કરેલા મારણને ગામમાંથી હટાવી સીમમાં લઇ જવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. એકસાથે પાંચ-પાંચ સિંહ ગામમાં ઘૂસી જતા લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.
ડાઈ આધારિત ચિત્રોની વિશ્વભરની કૃતિનું પ્રદર્શન અમદાવાદમાં
પેઇન્ટિંગ્સના વિવિધ પ્રકાર છે અને આ ક્ષેત્રમાં આવનારા લોકો માટે અમદાવાદ મોટું હબ બને તેવી શકયતા છે. ખાસ કરીને ગ્લોબલ હેરિટેજમાં સ્થાન પામતી નેચરલ ડાઈના પેન્ટિંગ્સની સ્પર્ધા તેમજ એક્ઝિબિશન યોજાવાનું છે. આ અંગેની માહિતી આપતા અબીરાના રૂબી જાગૃતે સૌંદર્યના ક્ષેત્રે સશ્કિતકરણ પૂરી પાડવા એક અનોખો પ્રયત્ન હાથ ધર્યો છે. ચિત્રકાર રૂબી જાગૃત તેમના અબીર દ્વારા પ્રથમ આર્ટ શો ‘ફર્સ્ટ ટેક-2016' લઈને આવી રહ્યાં છે. નોન કોમર્શિયલ એવા ઉદ્દેશથી રચાયેલા અબીરના શોનું આયોજન 18થી 24 ઓક્ટોબર દરમિયાન હઠિસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર અને કનોરિયા સેન્ટર ઓફ આટર્સ ખાતે કરાશે. જેમાં 100 કૃતિઓને આર્ટ શોમાં સ્થાન અપાશે.
અ'વાદમાં ટ્રેનના સમયપત્રકે મુસાફરોને મુશ્કેલી વધારી
અમદાવાદથી બોટાદ તરફ અપડાઉન કરતાં હજારો મુસાફરો પરેશાન છે કારણ કે અચાનક ટ્રેનનું ટાઈમટેબલ બદલવામાં આવ્યું છે. બોટાદથી અમદાવાદ અને અમદાવાદથી બોટાદ આસપાસના ગામો તેમજ ધોળકા,બાવળા કે ધંધુકા જેવા નાના શહેરો અને સાળંગપુર ધામ ખાતે જનારા ભક્તો આ કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. વળી રેલ્વે તંત્રએ ચીઠ્ઠીમાં લખાણ લખી ટાઈમ ટેબલમાં સુધારો કર્યો છે. ત્યારે મુસાફરો ટાઈમ ટેબલને યાદ રાખવા માટે મોબાઈલમાં ફોટો પાડીને સમય પત્રક સાચવી રાખવા મથામણ કરી રહ્યા છે.
કીડની કાંડ:પીઆઇ હરેશ વોરાને કર્યા સસ્પેન્ડ
આણંદના ચકચારી કિડની રેકેટમાં દિલ્હીની પકડાયેલા આ કાંડના મુખ્ય સુત્રધાર તેવા ડોક્ટર અમિત રાવતના પોલિસ ફંદામાંથી સફળ રીતે ભાગી જતા રેન્જ આઇજીએ આ માટે જવાબદાર તેવા એલસીબી પીઆઇ હરેશ વોરાને સસ્પેન્ડ કર્યા છે. સાથે જ બે પોલીસ કોન્સ્ટેબલ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
નડિયાદની શેઢી શાખામાં ગાબડાથી અમદાવાદમાં પાણી કાપ
શેઢી નદીની શાખા રાસ્કા વિયર કેનાલમાં પડેલા 30 ફુટના ગાબડાને કારણે અનેક લોકોના ઘરો અને ખેતરોમા કેનાલના પાણી ઘુસ્યા હતા તેમજ અમદાવાદના હાથીજણ, વસ્ત્રાલ, રામોલ, ઓઢવ , સીટીએમ સહિત વિગેરે વિસ્તારમાં બે દિવસ સુધી પાણી કાપ મૂકવાનો વારો આવ્યો છે. હાલમા તો આ ગાબડાનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ થરાદ, વાવ અને હવે શેઢીની કેનાલમા ગાબડું એ તંત્રની બેદરકારી દર્શાવી રહ્યું છે. વારંવાર કેનાલમાં ગાબડા પડે છે અને તેને વેઠ વાળીને સમારકારમ કરવામાં આવે છે ત્યારે વારંવારની આ પરિસ્થિતિથી નાગરિકો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. પાણી કાપની પરિસ્થિતિ બે દિવસ સુધી રહે તેવી શક્યતા છે.