ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
15મી ઓગસ્ટ પહેલા IBએ ગુજરાતને આપ્યું હાઇ એલર્ટ
15મી ઓગસ્ટને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુપ્તચર સંસ્થાએ ગુજરાત અને અમદાવાદમાં હાઇ એલર્ટ જાહેર કર્યું. એલર્ટના પગલે કોસ્ટ ગાર્ડને પણ સચેત કરવામાં આવ્યા છે. 15મી ઓગસ્ટ નિમિત્તે આતંકી હુમલો થવાની શક્યતાને જોતા આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ ગુજરાતમાં ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં વરસાદની મેધમહેર
અમદાવાદમાં આજે સવારથી અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. શિવરંજની, જીવરાજ પાર્ક, શ્યામલ ચાર રસ્તા અને એસજી હાઇવે વિસ્તારમાં પડી રહેલા વરસાદે અમુક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી કરે છે.
પાણીથી છલકતો નર્મદા ડેમ જોવા ઉમટ્યા પ્રવાસીઓ
નર્મદા ડેમ જ્યારથી ઓવરફ્લો થયો છે ત્યારથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નર્મદા ડેમની મુલાકાત લેવા આવી રહ્યા છે અને અહીં દૂધની જેમ પડી રહેલા સફેદ પાણીને જોઇને મંત્રમુગ્ધ થઇ રહ્યા છે. નોંધનીય છે કે નર્મદા ડેમની સપાટી હવે 125.57 મીટરે પહોંચી છે.
વડોદરામાં આદિવાસી દિવસની ઉજણી
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આજના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાવનું નક્કી કરતા ડાંગ, છોટા ઉદેપુર સહિત ગુજરાતમાં વસતા આદિવાસીઓએ આ દિવસને ઉત્સાહથી ઉજવવાનું નક્કી કર્યુ છે જેના ભાગ રૂપે આજે છોટા ઉદેપુર, પંચમહાલ, ભરૂચ તથા ગોધરાના આદિવાસી સમાજે વડોદરા શહેરમાં એકઠા થઈને વડોદરામાં મોટી રેલી કાઢી હતી. જેમા પરંપરાગત પોશાક તથા તીર કામઠા જેવા આયુધો સાથે આવેલા આદિવાસી સમાજે પરપરાગત નૃત્ય કરીને આકર્ષણ ઉભું કર્યું હતુ.
ઉપવાસ પર બેઠેલા વિદ્યાર્થીઓને મળવા પહોંચ્યા આપ નેતા આશુતોષ
આપના રાષ્ટ્રિય પ્રવકતા આસુતોષ આજે ગુજરાતની મુલાકાત પર છે. તે બારડોલીમાં આયોજીત ખેડૂત સંમેલન અને નવસારીમાં આદિવાસી સંમેલનમાં હાજરી આપશે. આ ઉપરાંત તેમની સાથે આપ નેતા સંજયસિંહ પણ આવ્યા હતા. તો સાથે જ આશુતોષે તાપીના વલોદ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ જે પાછલા 35 દિવસથી ઉપવાસ પર બેઠા છે તેમને પણ મળ્યા હતા.
દમણમાં નમાઝ પઢવા ગયેલા બિલ્ડરનું અપહરણ, 5 કરોડની ખંડણી
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાંના મુસ્લિમ અગ્રણી અને બિલ્ડર એશોસીયશનના પ્રમુખ નઝીરભાઇ ડીંગમારનું સોમવારે વહેલી સવારે તેમના રહેઠાણ ખારીવાડથી મસ્જિદે નમાઝ પઢવા ગયા હતા. ત્યાર બાદ તેઓ ઘરે પરત ફર્યા નહોતા. હજી સુધી તેમની કોઈ ભાળ ન મળતા તેમનું અપહરણ થયાની શંકા સેવાઈ હતી તેવામાં જ અપહરણકારોએ નઝીરભાઇના ફોન પરથી ફોન કરીને પાંચ કરોડની ખંડાણી માંગી હતી. જોકે આ અંગે પરિવારજનો તથા પોલીસ કશું સ્પષ્ટપણે કહી શકતી નથી. માટે આ અંગે ચર્ચા વ્યાપક બની છે.
સાત સંસદીય સચિવોની આજે નિમણૂક, 4 વાગે થથે શપથવિધી
સીએમ વિજય રૂપાણીએ આજે સાત સંસદીય સચિવોની નિમણુંક કરી છે. અને સાત ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવાયા છે. આ માળખામાં આનંદીબેનના સમયના 4 સંસદીય સચિવો યથાવત્ રાખવામાં આવ્યા છે. ત્યારે ત્રણ નવા સંસદીય સચિવોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વિભાવરીબેન દવે, વર્ષાબેન દોશી, બાબુ જમના પટેલને રૂપાણી સરકારે નવા સંસદીય સચિવો બનાવ્યા છે. જ્યારે વાસણ આહિર, ભરતસિંહ ડાભી, જેઠાભાઈ સોલંકી,રણછોડભાઈ દેસાઈ સંસદીય સચિવ પદે યથાવત્ રાખવામાં આવ્યા છે. છે. આ સચિવોની બપોરે 4 વાગ્યે શપથવિધિ યોજાશે.
કચ્છના મુંદ્રામાંથી 4. 5 ટનનું સાડા ત્રણ કરોડનું રક્ત ચંદન ઝડપાયું
ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ગાંધીધામ શાખાને મળેલી બાતમીને આધારે દિલ્હીની એક્સ્પોર્ટર પાર્ટીના કન્સાઈન્મેટ પર ડીઆરઆઈએ ગોઠવેલી વોચને પરિણામે ચાઈના મોકલવામાં આવનારા કન્ટેનરોને અટકાવી સૌરાષ્ટ્ર સીએફએસ મધ્યે કસ્ટમની હાજરીમાં ખોલાવતા ચોખાની બોરીઓ પાછળ છૂપાવવામાં આવેલો રક્તચંદનનો 4.5 ટન જેટલો જથ્થો ઝબ્બે કરવામાં આવ્યો હતો. આ રક્ત ચંદનની કિંમત અંદાજે સાડા ત્રણ કરોડ જેટલી થવા જાય છે. સંબંધિત અધિકારીઓએ આ રકત ચંદનની તસ્કરીમાં કોનો હાથ છે તે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર પાસે ચાલુ ગાડીએ યુવકને બહાર ફેંકી દેવાતા ચકચાર
ભરુચના અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાંથી એક યુવકને બહાર ફેંકી દેવાયાની ઘટના સામે આવી હતી. લૂંટના ઇરાદે આવેલા કેટલાક શખ્સોએ મુસાફરી કરી રહેલા યુવક સાથે મારામારી કરી હતી અને આ મારામારી ઉગ્ર થતાં અજાણ્યા શખ્સોએ યુવકને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. રેલવે પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે ઇજાગ્રસ્ત યુવકને વહેલી સવારે ભરૂચ સારવાર માટે ખસેડ્યો હતો. સામાન્ય રીતે આ પ્રકારની ઘટના ઉત્તર પ્રદેશમાં જોવા મળતી હોય છે પરંતુ ગુજરાતમાં પણ ચાલુ ટ્રેને કોઈન બહાર ફેંકી દેવાની ઘટનાની જાણ થતા મુસાફરો ચોંકી ઉઠ્યા હતા.
ભરૂચ ગોલ્ડન બ્રિજમાં ઓવરફ્લો, કાંઠાના 44 ગામોમાં એલર્ટ
નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ પાસે ગોલ્ડન બ્રિઝ પર સપાટી 17 ફૂટને પાર પહોંચી છે. નર્મદાના કાંઠા વિસ્તારના 44 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદાની જળસપાટી આજે બપોરે 22 ફૂટને પાર કરે તેવી શક્યતા જોતા કલેક્ટરે કાંઠા વિસ્તારમાં લોકોને સાબદા રહેવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે ભયનજક લેવલ 24 ફૂટનું છે. હાલમાં નર્મદા નદીના જળસ્તરમાં થઇ રહેલા વધરા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આગામી ર૪ કલાક દરમિયાન રાજયમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.