બાળકો લક્ષ્યથી ન ભટકે તે માટે વાલીઓની સજાગતા જરૂરી: અવંતિકા સિંઘ
ગાંધીનગર જિલ્લાના ભાટ અને સુઘડ પ્રાથમિક શાળામાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના સચિવ અને માહિતી-પ્રસારણ સચિવ અવંતિકા સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને દફતર, પુસ્તકો અને ચોકલેટ આપીને આવકાર્યા હતા. અવંતિકા સિંઘે કહ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવને કારણે શાળામાં ઉત્સવનું વાતાવરણ સર્જાતું હોવાથી હવે પ્રવેશ વખતે બાળકો ખુશખુશાલ દેખાય છે. શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચી જળવાઈ રહે અને બાળકો લક્ષ્યથી ન ભટકે એ માટે વાલીઓની સજાગતા અને મહેનત જરૂરી છે. રમત ગમત એ બાળકોનો મૂળ સ્વભાવ છે, તેની સાથોસાથ અભ્યાસ પણ એકાગ્રતાથી થવો જોઈએ. બાળકોના પ્રાથમિક શિક્ષણમાં વિશેષ ધ્યાન અપાશે તો તેમનો ઉછેર સારો થશે અને તો આવનારા સમયમાં સમાજને તેનો લાભ મળશે.
કોટેશ્વર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ સમારોહમાં દાતાઓનુ બહુમાન પણ કરાયું હતું. કોટેશ્વરની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભરત પટેલે શાળાના રિનોવેશન માટે રૂ. ૧૦ લાખનું દાન આપ્યું છે, તો સ્વ. મગનભાઈ પટેલે શાળા માટેની જમીન દાનમાં આપી હતી. આ માટે દાતાઓનું સન્માન કરાયું હતું. શ્રીમતી અવંતિકા સિંઘે દાતાઓની સખાવતની સરાહના કરી હતી. શાળામાં ઓછામાં ઓછી ગેરહાજરી હોય એવા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.