બનાસકાંઠા મેડિકલ કોલેજઃ નિયમોની અવગણના કરી કોલેજ ફાળવ્યાનો આરોપ
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલ પચાવી ખાનગી ટ્રસ્ટને રાતોરાત નિયમો નેવે મૂકીને 150 બેઠકોવાળી મેડિકલ કોલેજ ખોલવા માન્યતા અપાઈ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલ પચાવી ખાનગી ટ્રસ્ટને રાતોરાત નિયમો નેવે મૂકીને 150 બેઠકોવાળી મેડિકલ કોલેજ ખોલવા માન્યતા અપાઈ રહી છે. ભાજપ સરકારમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પદે રહીને શંકર ચૌધરીના ટ્રસ્ટને આ માન્યતા આપવામાં આવી રહી છે. એમસીઆઇનાં નિયમો મુજબ મેડિકલ કોલેજની માન્યતા મેળવવા માટે સંસ્થાએ છેલ્લા ત્રણ વર્ષની બેલેન્સશીટ્સ રજૂ કરવી એ પાયાની લાયકાત છે, આમ છતાં માંડ બે વર્ષ જૂના શંકર ચૌધરીના નેજા હેઠળના ટ્રસ્ટને લેટર ઓફ પરમિશન ગ્રાન્ટ કરવા માટે એમસીઆઇએ ભારત સરકારને ભલામણ કરી દીધી છે.
મંત્રીપદનો ગેરલાભ લીધો હોવાનો આરોપ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નિયમ ભંગ કરીને ભલામણ કરી શકે એ બાબત તપાસ માગી લે તેવી છે. ભાજપના શંકર ચૌધરીએ મંત્રીપદનો ગેરલાભ લઇને પાલનપુર સરકારી સિવિલ હોસ્પિટલ કઈ રીતે બથાવી લીધી છે તે સઘળી બાબતો પણ તપાસનો વિષય બની રહે છે. વિજય રૂપાણીનાં મુખ્યમંત્રી પણા હેઠળની વર્તમાન ભાજપ સરકાર જો ભ્રષ્ટાચાર જડમૂળથી ઉખાડવાનો દાવો કરતી હોય તો પહેલી તપાસ શંકર ચૌધરીના ટ્રસ્ટને કઇ રીતે નિયમોની અવહેલના કરીને મેડિકલ ફાળવવામાં આવી તેની તપાસ કરવાની માંગ ઉઠી છે.
મેડિકલ કોલેજ માટે તત્કાલિન ખાનગી ટ્રસ્ટ ઉભું કરી
વાવ વિધાનસભા બેઠક પરથી શંકર ચૌધરી 2017ની વિધાનસભા ચૂંટણી નવા ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે પરાજિત થયા હતા. તે અગાઉ ભાજપ સરકારમાં આરોગ્ય વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી હતા. ત્યારે એમણે પાલનપુર સિવિલ હોસ્પિટલ પડાવી લેવા માટે રાજ્ય સરકાર મારફત સરકારી હોસ્પિટલોના ખાનગીકરણની યોજના જાહેર કરાવડાવી, જેમાં સરકારી હોસ્પિટલોની માલિકી સરકારની રહે પણ વહીવટ બધો ખાનગી હાથોમાં ચાલ્યો જાય. ત્યારબાદ બનાસકાંઠાની બનાસડેરી કે જેમાં તેઓ એ વખતે અને અત્યારેય ચેરમેન છે, તેના સપોર્ટથી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના નામે નવું ટ્રસ્ટ ઊભું કર્યું. આ ટ્રસ્ટમાં શંકર ચૌધરી પોતે પણ ટ્રસ્ટી તરીકે સામેલ છે. જે ટ્રસ્ટ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ પચાવી પાડવામાં આવી, ત્યારબાદ એમાં મેડિકલ કોલેજ ખોલવા માટે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટના નામે નવી સંસ્થા ઊભી કરી મેડિકલ કોલેજની માંગ કરવામાં આવી છે. જેને એમસીઆઇએ માન્યતા આપી છે.
MCIએ પણ નિયમો વિરુદ્ધ કોલેજ મંજૂર કર્યાનો આરોપ
બનાસ મેડિકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટને એમસીઆઇના નિયમો વિરુદ્ધ સામે ડિસાના સામાજિક કાર્યકર ભેમાભાઈ ચૌધરીએ પણ અવાજ ઉઠાવ્યો છે. એમસીઆઇના નિયમોમાં ખાનગી સંસ્થાએ મેડિકલ કોલેજની માન્યતા મેળવવા માટે ત્રણ વર્ષના હિસાબો રજૂ કરવાની સ્પષ્ટ જોગવાઇ છે, તેથી શંકર ચૌધરીનાં નેતૃત્વવાળા રાતોરાત ઊભા થયેલા ટ્રસ્ટ કોઈ પણ સંજોગોમાં મેડિકલ કોલેજ માટે માન્યતા મળી શકે નહીં.
મેડિકલ કોલેજનો કબજો
એમસીઆઈના વર્તમાન ચેરમેન જયશ્રીબહેન મહેતા સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં તે રજૂઆતો સાંભળવામાં આવતી ન હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ભેમાભાઇ ચૌધરીના કહેવા પ્રમાણે શંકર ચૌધરીના ટ્રસ્ટને બનાસ ડેરી સાથે કોઇ સંબંધ નથી. આગામી સમયમાં બનાસ ડેરીમાં નવા સંચાલકો ચૂંટાઈને આવશે ત્યારે પણ પાલનપુર હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો કબજો તો શંકર ચૌધરીના હાથમાં જ રહેશે તેવો આક્ષેપ પણ કરાયો છે.