બનાસકાંઠામાં પ્રિ-મોન્સુનના આયોજન માટે બેઠક પ્રભારી મંત્રીએ યોજી બેઠક
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારે પૂર અને વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ચોમાસામાં પૂરની અને વાવાઝોડાની પરિસ્થિતિ ઉભી થતી હોવાના કારણે મોટી જાનહાનિ સર્જાય છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારે પૂર અને વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ચોમાસામાં પૂરની અને વાવાઝોડાની પરિસ્થિતિ ઉભી થતી હોવાના કારણે મોટી જાનહાનિ સર્જાય છે. ત્યારે, આગામી ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ-પૂર અને વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય તો તેવા સમયે જાન-માલને થતાં નુકશાનને અટકાવી શકાય તે માટે પાલનપુર મુકામે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા જિલ્લાના પ્રભારી મંત્રી ઇશ્વર પરમારના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુનના આયોજનની બેઠક યોજાઇ હતી.
પૂરની પરિસ્થિતિ સમયે યોગ્ય પગલાં લેવા સૂચન
બેઠકમાં પ્રભારી મંત્રી ઇશ્વર પરમારે અધિકારીઓને વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૭માં બનાસકાંઠા જિલ્લામાં આવેલ પૂર વખતે પડેલ મુશ્કેલીઓ આ વખતે ના પડે તેની કાળજી રાખી તેમજ કોઇપણ ઘટનાને તાકીદે પહોંચી વળવા પુરતી તૈયારી સાથે સુદ્રઢ આયોજન કરીએ. તાત્કાલીક સંપર્ક માટેના જરૂરી તમામ ફોન નંબર અત્યારથી મેળવી લઇ હાથવગા રાખવા તેમણે તમામ અધિકારીઓને સુચના આપી હતી. પૂર પહેલાં કયાં પગલાં લેવાં, પૂર સમયે કેવાં પગલાં લેવાં અને પૂર પછી કેવાં પગલાં લેવાં તથા તેનું સુદ્રઢ આયોજન કરવા મંત્રીશ્રીએ વિસ્તૃતત માર્ગદર્શન અને જરૂરી સુચના આપી હતી.
ચોમાસાના પાણીના યોગ્ય નિકાલ માટેની આગોતરી વ્યવસ્થા
ચોમાસાને અનુલક્ષી જયાં વધારે પાણી ભરાતુ હોય ત્યાં પાણીના નિકાલ અંગે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડયે સલામત સ્થંળે ખસેડવા અને જરૂરી મદદ કરવા આપવા અંગે ગ્રામ્યા કક્ષા સુધી જરૂરી આયોજન કરવા તથા તેની અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપવા, ચોમાસાની સીઝનમાં સજાગ રહેવા તથા જિલ્લામાં કોઇપણ ઘટના બને ત્યાઓરે તરત જ જિલ્લા કન્ટ્રોલ રૂમને જાણ કરવા અધિકારીઓને સુચના આપી હતી.
આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવો
સંબંધીત અધિકારીઓને જિલ્લા, તાલુકા અને નગરપાલિકાઓનો ડિઝાસ્ટર પ્લાન બનાવી તાકીદે મોકલી આપવા જણાવ્યું હતું. ઉપરાંત પૂર-રાહતનાં સાધનો ચકાસી લેવા, આશ્રય સ્થાનોના કોન્ટેકટ નંબર મેળવી લેવા તેમજ કર્મચારીઓને પોતાના કાર્યક્ષેત્રનાં ગામોની મુલાકાત લઇ સર્વે કરવા આદેશ કર્યા હતા. રાહત અને બચાવ માટે તરવૈયા અંગે આગોતરૂ આયોજન કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ અધિકારીઓને નાનામાં નાની બાબતો આવરી લઇ ચોમાસા પૂર્વેનો પ્લાન બનાવવા જણાવ્યું હતું. વીજ પુરવઠો જાળવવા, આરોગ્ય કેન્દ્રો તથા હોસ્પીટલોમાં પુરતી દવાઓનો જથ્થો પહેલેથી મેળવી લેવા જણાવ્યું હતું.
ઓટોમેટિક એલર્ટ સિસ્ટમ વિકસાવાશે
ભારે વરસાદ-પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની કલેકટરશ્રી સંદીપ સાગલેએ બેઠકમાં માહિતી આપતાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં જયાં જ્યાં પાણીનો આવરો વધુ હોય તેવા વિસ્તારોમાં ઓટોમેટીક એલર્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. ઉપરાંત ૧લી જુનથી જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે અને ટેલીફોનીક ફરિયાદ કે રજુઆતની નોંધ કરી તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.
બેઠકમાં ધારાસભ્યો અને જિલ્લાના અધિકારીઓ સાથે સંવાદ
જિલ્લામાં ચોમાસાના પૂર્વે પ્લાનની બેઠકમાં ધારાસભ્યો શશીકાંત પંડયા, કાન્તી ખરાડી, નથા પટેલ, શીવા ભુરીયા તેમજ કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી એ. બી. શાહ, અધિક નિવાસી કલેકટર એલ.બી.બાંભણીયા તેમજ તમામ પ્રાન્તી અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારો તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.