શું લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં બદલાશે મુખ્યપ્રધાન?
ગુજરાતના રાજકારણમાં ફરીથી એકવાર ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જે રીતે, ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે તે રીતે, આંતરીક ડેમેજ કંટ્રોલ કરવાના પણ પ્રયાસ કરી રહ્યું છે.
ગુજરાતના રાજકારણમાં ફરીથી એકવાર ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જે રીતે, ભાજપ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે તે રીતે, આંતરીક ડેમેજ કંટ્રોલ કરવાના પણ પ્રયાસ કરી રહ્યું છે. આ દિશામાં જોઇએ તો, આગામી લોકસભા ચૂંટણી પહેલાં નવા મુખ્યમંત્રીની તાજપોશી થાય તો નવાઇ નહી. રાજ્યના મુખ્યમંત્રીને બદલવાની રાજકીય પ્રક્રિયા ભાજપમાં શરૂ થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર નેતા તથા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયાનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે.
મનસુખ માંડવિયા બની શકે છે સીએમ
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના મુખ્યપ્રધાનને બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવે તેવી અટકળો જોવા મળી રહી છે. તે પછી ભૂતપૂર્વ બનેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લોકસભા ચૂંટણીમાં જીતાડી દિલ્હી લઈ જવામાં આવે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. આ સાથે જ નીતિન પટેલને દુર કરવાનો રસ્તો સરળ બની શકે તેવી શક્યતા છે. આ દ્રષ્ટિએ જોઇએ તો, રાજ્યમાં મુખ્યમંત્રી બદલાય કે ન બદલાય પણ નીતિન પટેલનું રાજકીય બલિદાન નક્કી થઈ ગયું છે. જો ભાજપ આ પ્રમાણે ચોકઠાં ગોઠવતું હોય તો આ નીતિન પટેલનું ત્રીજું ઘોર અપમાન ગણાશે.
પાટીદારોને રીઝવવા ભાજપનો પ્રયાસ
હાર્દિક પટેલ ફરીથી સક્રિય થતાં પાટીદાર અનામત આંદોલન ફરીથી જિવંત થાય તેવી શક્યતા છે. તાજેતરમાં હાર્દિક પટેલે પાટીદાર ન્યાય મહાપંચાયતથી તેની શરૂઆત પણ કરી છે. લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો ફરીથી જીતવા પાટીદારોની નારાજગી ભાજપને પોષાઇ શકે નહીં. તેથી વિજય રૂપાણીના સ્થાને પાટીદાર સમાજમાંથી માંડવીયાને સત્તાના સૂત્રો સોંપવામાં આવે અને રૂપાણીને રાજકોટથી તથા નીતિન પટેલને મહેસાણાની ટિકિટ આપીને લોકસભાની ચૂંટણીમાં ઉતારવાની ગણતરીઓ ચાલી રહી છે. અગાઉ નીતિન પટેલનું બે વખત રાજકીય અપમાન થયું છે. મુખ્યમંત્રી પદનો પ્યાલો છેક હોઠે આવીને છીનવી લેવામાં આવ્યો છે. ત્યારે, હવે દિલ્હી લઇ જવાના બહાને તેમને ગુજરાતના રાજકારણમાંથી દુર કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
નીતિન પટેલનો પણ કાંટો થઇ શકે દુર
તાજેતરમાં કેટલાંક સમયથી નીતિન પટેલનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને તેમને દૂર કરાશે એવી અટકળોની વચ્ચે નીતિન પટેલ શંકરસિંહ વાઘેલાના માર્ગે જઈને બળવો કરશે એવી અટકળો પણ વહેતી થઈ હતી. ત્યારે, હવે મુખ્યમંત્રી બદલવાની વાતો શરૂ થઈ છે, જેમાં પાટીદાર નેતા માંડવીયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો દેખીતી રીતે રૂપાણી દૂર થાય અને તેની સાથે નીતિન પટેલને પણ સરકારમાંથી દૂર કરવામાં આવે.
વિજય રૂપાણીને પણ કેન્દ્રમાં મળી શકે સ્થાન
મનસુખ માંડવીયા સીએમ થાય તો નીતિન પટેલને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે એ પણ નક્કી છે. કેમ કે નાણાંખાતાની જીદને લઈને તેઓ પક્ષમાં અળખામણા બની ગયા છે. તેમની છાપ અસંતુષ્ટ તરીકેની પડી ગઈ છે. તેથી નેતાગીરી બદલતી વખતે તેઓ સીએમ પદનો દાવો કરે તે પહેલા રૂપાણીની સાથે તેમને પણ વિદાય આપી દેવામાં આવે, આમ મુખ્યમંત્રી બદલાઈ કે ન બદલાઈ પણ નીતિન પટેલની હકાલપટ્ટી નક્કી થઈ ગઈ હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
હું સીએમ પદની રેસમાં નથીઃ મનસુખ માંડવિયા
જો કે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ આ તમામ અટકળો પર પુર્ણ વિરામ મુકવા પ્રયાસ કર્યો હતો. તેમણે હું મુખ્યંત્રીની રેસમાં ન હોવાનું કહી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો અને આ પ્રકારની અફવા હોવાનું પણ જણાવ્યું હતું. આનંદીબેનના રાજીનામાં વખતે વિજય રૂપાણી પણ રેસમાં ન હોવાનું જણાવતાં હતાં. પરંતું, આખરી તબક્કે નીતિન પટેલનું પત્તું કાપવા રૂપાણી પર પસંદગી ઢોળાઇ હતી. આમ, ક્યાંકને ક્યાંક ભાજપમાં નવાજુનીના એંધાણ દર્શાઇ રહ્યા છે.