ભાદરવી પૂનમની આ તસવીરોમાં જુઓ ભક્તિથી રંગાયેલું અંબાજી
અંબાજી અને તેની આસપાસના 100 કિલોમીટર વિસ્તારમાં ખાલ એક જ નાદ સભળાય છે, બોલ માડી અંબે જય જય અંબે. ભાદરવી પૂનમના મહાકુંભના મેળામાં દૂર દૂરથી શ્રદ્ઘાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા કે માંથી કંઇ માંગવા માટે પગપાળા ચાલીને આવે છે. અને માંની એક ઝલક મેળવીને ધન્યતા અનુભવે છે.
તો બીજી તરફ ગુજરાતી ધરતી પર જ્યાં એક બાજુ ભક્તિ છે ત્યાં બીજી બાજુ માંના મંદિરે આવતા ભક્તોની સેવા કરનાર અનેક સ્ટોલ પણ છે. જે માંના આ ભક્તોને યથાશક્તિ મદદ કરી રહ્યા છે. તેમને ભોજન, દવા, માલિશ કરી પૂણ્ય કમાઇ રહ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 28 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં જગઅંબેના દર્શન કર્યા છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે ભક્તોની સંખ્યા ઓછી છે તેવું પ્રશાસનનું કહેવું છે. જો કે પ્રશાસન અને પોલિસનો પણ આભાર માનવો જ રહ્યો કે તેમણે આ મહાકુંભ વખતે પૂરતો ચાંપતો બંદોવસ્ત કર્યો છે. ત્યારે આ અંબાના આ પાવન પર્વની ભક્તિમાં ડૂબાયેલી આ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
દૂર દૂર આવતા માડીના ભક્તો
દર વર્ષે ભાદરવી પૂનમના પહેલા અને ભાદરવી પૂનમના દિવસ માં અંબાના ભક્તો દૂર દૂરથી ચાલીને તેમની માનતા પૂરી કરવા અને માં માટેની તેમની શ્રદ્ધાને દર્શાવા અહીં આવે છે.
શક્તિપીઠની પૂજા
અંબાજી માતાના મંદિરમાં શક્તિપીઠ યંત્રની પૂજા થાય છે. 51 શક્તિપીઠોમાંથી એક તેવા આ શક્તિપીઠમાં માંનું હદય પડ્યું હોવાની માનતા છે. તો વળી માં પણ તેના ભક્તોની સાચા મનથી માંગેલી તમામ ઇચ્છાઓને પૂરી કરે છે.
1500 ફૂટની ધજા
દર વર્ષે ભાદરવી પૂનમના સમયે માઇ ભક્તો માંને ચઢાવા માટે મોટી મોટી ધજાઓ લાવે છે. જેમાં આ વખતે પણ માંને 1500 ફૂટ લાંબી ધજા ચઢાવામાં આવી છે. આ ઉપરાંત નાની ધજાઓની સંખ્યા પણ અસંખ્ય છે.
11,111 લાડુ
અંબાજીમાં આ વર્ષે વિશાળકાળ લાડુ બનાવવામાં આવ્યો હતો. જેની નોંધ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ નામ નોંધાવામાં આવ્યું છે. 11,111 કિલોના આ વિશાળ લાડુએ ભક્તોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
માં આરાસુરીનો સોનાનો ગુંબજ
નોંધનીય છે કે અંબાજી માતાના મંદિરના ગુંબજને સોનાથી મઢવામાં આવ્યું. ત્યારે ભક્તો અંબાજીના મંદિરના અને ગબ્બરના બન્નેના દર્શન કરીને પોતાની મનોકામના પૂરી કરે છે.
ભક્તોનો પ્રેમ
દર વર્ષે પગપાળા ચાલીને આવતા અનેક અંબેમાના ભક્તો તેમની સાથે નીતનવા રંગના રથ, માંતાની અંબાડી, માંની માટલી લઇને આવે છે. ત્યારે માતાજીના આ રથોની સાજ સજ્જા ખરેખરમાં જોવા જેવી હોય છે.
માતાજીને ભેટ
આ વખતે માતાજીના ભક્તોએ લગભગ 3 કરોડની ભેટ માંને ચઢાવી છે. તો વળી 3500 જેટલી ધજાઓ પણ ચડાવામાં આવી છે. ત્યારે અંબાજી ખાતે આ મીની મહાકુંભનો ભવ્ય મેળો ભક્તિમાં સંપૂર્ણ પણે રંગાયેલો જોવા મળે છે.
આજે ભાદરવી પૂનમના છેલ્લા દર્શન
ત્યારે જે લોકો પણ ચાલીને આવતા હોય છે તે માટે આજે રાતના 12 વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રહે છે. અને રાતે પણ માં ના ભક્તો માડીના દર્શન કરીને ધન્યતા મેળવે છે.
શ્રધ્ધા અને ભક્તિનું ધોડાપૂર
જો કે અંબજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને પોલિસ દ્વારા આ મેળાને સુયોગ્ય બનાવાનો દર વર્ષે બનતો પ્રયાસ થાય છે. અને આ વર્ષે પોલિસે ચાંપતો બંદોવસ્ત કર્યો હતો જેથી કરીને કોઇ અનિચ્છનીય બનાવ ના બને.