ગુજરાતમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ક્યાં ક્યાં થયો વિરોધ, જાણો
2 એપ્રિલના રોજ અનેક દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધની જાહેરાત કરી છે. કોર્ટેના નિર્ણયના પગલે રાજકોટ, ભાવનગર, અમદાવાદમાં બંધના કેવા પ્રતિસાદ પડ્યા છે જાણો અહીં.
ભારતભરમાં એટ્રોસિટિ એેક્ટ મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રથી લઇને પંજાબ અને બિહારમાં પણ ઠેર ઠેર આ કાયદાના વિરોધમાં દલિતો ઉતર્યા છે. ત્યાં જ ગુજરાતમાં પણ ઠેર ઠેર આ બંધની અસર જોવા મળી રહી છે. દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આ અંગે અગોતરી જાહેરાત કરી હતી. જેના પગલે ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત, વડોદરા, રાજકોટ, જામનગર જેવા તમામ મોટા શહેરોમાં વિરોધ સાથે બંધની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં દલિતો દ્વારા આ એક્ટના વિરોધમાં ઠેર ઠેર રસ્તા રોકો કાર્યક્રમથી લઇને ટાયર સળગાવવા જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. એટ્રોસિટ એક્ટ મામલે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાના કારણે અનેક જગ્યાએ બસ સેવાઓ ઠપ્પ કરવામાં આવી છે. વળી ચાંપતો પોલીસ બંદોવસ્ત પણ કરવામાં આવ્યો છે.
તેમ છતાં લોકોનો વિરોધ પ્રદર્શન પણ ચાલુ છે. અમદાવાદમાં આ બંધના પગલે NSUIના વિદ્યાર્થીઓએ કોલેજો બંધ કરાવી છે. તો વડોદરામાં દલિત વિરોધ પ્રદર્શનના પગલે કોઠી ચાર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠામાં બજાર બંધ કરાવવા મામલે વિરોધના પગલે પોલીસે 5 જેટલા દલિત કાર્યકર્તાઓની અટક કરી છે. અને ધાનેરા હાઇવે પણ બંધ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. બીજી તરફ જામનગરમાં ખંભાળિયા પાસે દલિત સંગઠનોએ ચક્કાજામ કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે. સુરેન્દ્રનગરમાં સાવચેતી પગલે તમામ એસટી રૂટ બંધ રાખવામાં આવ્યા છે.
અને દલિત સંગઠનોએ રસ્તાઓ બંધ કરતા ચક્કાજામ સર્જાયો છે. ભાવનગરમાં પણ ચાર રસ્તા પર ટાયર સળગાવ્યાની ખબરો આવી છે. તો વલસાડમાં પણ બંધની અસર હેઠળ દુકાનો બંધ જોવા મળી છે. ઇડરમાં પણ આજ સવારથી જ જડબેસલાક બંધ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત જાણકારી બપોરના 12 વાગ્યા સુધીના તમામ અહેવાલોને જણાવે છે.