નવજાત શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવા સર્વગ્રાહી પ્રયાસોની શરૂઆત
ભારત સરકાર તથા ગુજરાત સરકારના નીતિ આયોગના ધ્યેયો અંતર્ગત નવજાત શિશુ તથા બાળ મૃત્યુદર ઘટાડવા માટે થઇ રહેલા પ્રયાસોને વેગવંતા બનાવવા.
ભારત સરકાર તથા ગુજરાત સરકારના નીતિ આયોગના ધ્યેયો અંતર્ગત નવજાત શિશુ તથા બાળ મૃત્યુદર ઘટાડવા માટે થઇ રહેલા પ્રયાસોને વેગવંતા બનાવવા માટે તાજેતરમાં વિભાગીય નાયબ નિયામક કચેરી, આરોગ્ય અને તબીબી સેવાઓ, વડોદરા ઝોન દ્વારા સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટ (એસ.એન.સી.યુ.) ઉપર એક દિવસીય કાર્યશિબિર અને સમીક્ષા બેઠકનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા યુનિસેફના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં ઝોનના તમામ સરકારી તથા તેને સંલગ્ન મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, ગ્રાન્ટ ઇન એઇડના એસ.એન.સી.યુ.ના બાળ નિષ્ણાતો, એડમિનિસ્ટ્રેટીવ હોસ્પિટલ આસિસ્ટંટ, સ્ટાફ નર્સ તથા એસ.એન.સી.યુ.ના ઓનલાઇન ડેટા એન્ટ્રી ઓપરેટરો સહિત કુલ ૬૧ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ કાર્યશિબિરમાં ઝોન હેઠળના જિલ્લાઓમાં આવેલ તમામ એસ.એન.સી.યુ.ની હાલની પરિસ્થિતિમાં જરૂરી સુધારાઓ લાવી સુદ્રઢ બનાવવા તથા નવજાત શિશુ અને બાળ મૃત્યુદરને ઘટાડવાના ત્વરિત પ્રયાસો અર્થે ટૂંક સમયમાં ઝોનના ભરૂચ અને છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલોમાં એસ.એન.સી.યુ. સેવાઓની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જે અંગે જરૂરી કાર્ય યોજનાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જમનાબાઇ હોસ્પિટલના બાળ નિષ્ણાત ડૉ. દિલીપ વધેરાને ઝોનમાં શ્રેષ્ઠ એસ.એન.સી.યુ. પ્રેક્ટિસ માટે તથા અબ્દુલ પઠાણને ગોધરા હોસ્પિટલના ડી.ઇ.ઓ.ને શ્રેષ્ઠ ઓનલાઇન ડેટા એન્ટ્રીની કામગીરી માટે આર.ડી.ડી. શ્રી અને બાળ આરોગ્ય નોડલ ઓફિસર, ગાંધીનગર દ્વારા પ્રમાણપત્રો એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું.