રાહુલ ગાંધી ગુજરાત વિરોધી છે, સિસોદિયાને શરમ આવવી જોઈએ, સત્યેન્દ્ર જૈનને જામીન કેમ નથી મળતા..નડ્ડાના વાક્બાણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 6 દિવસ જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે વાકયુદ્ધ સતત ચાલી રહ્યા છે. આ ક્રમમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 6 દિવસ જ બાકી છે ત્યારે રાજકીય પક્ષો વચ્ચે વાકયુદ્ધ સતત ચાલી રહ્યા છે. આ ક્રમમાં ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો છે. તેમણે બુધવારે કહ્યુ કે રાહુલ ગાંધી ગુજરાત વિરોધી છે. તેમની આ ટિપ્પણી ભારતીય સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરના ભારત જોડો યાત્રામાં સામેલ થયા બાદ આવી છે. મેઘા પાટકર મહારાષ્ટ્રમાં શનિવારે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. નોંધનીય છે કે મેઘા પાટકરે બંધના પાણીને કારણે સ્થાનિક લોકોના વિસ્થાપનને રોકવા માટે નર્મદા બચાવો આંદોલનનુ નેતૃત્વ કર્યુ હતુ.
'મને ખાતરી છે કે ગુજરાત આ વખતે રેકોર્ડ તોડશે'
ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જેપી નડ્ડાએ કહ્યુ, 'મને ખાતરી છે કે ગુજરાત આ વખતે રેકોર્ડ તોડશે. ગુજરાતે ઘણા ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે અને ઉભર્યુ છે, તેથી જ લોકો અમને ફરીથી મત આપશે. મેધા પાટકરે હંમેશા વિકાસ વિરોધી સ્ટેન્ડ લીધુ છે. તેમની બાજુમાં રાહુલ ગાંધીના ઉભા રહેવાનો અર્થ એ છે કે તેઓ પણ ગુજરાત વિરોધી છે.' તેમણે કહ્યુ કે ગુજરાત આ વખતે રેકોર્ડ માર્જિનથી જીતવા જઈ રહ્યુ છે. દિલ્લીના ભૂતપૂર્વ મંત્રીઓ સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયા પર પ્રહાર કર્યા.
'મનીષ સિસોદિયાને શરમ આવવી જોઈએ કે...'
જેલમાં બંધ દિલ્લીના મંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈનને લગતા વિવાદ વિશે પૂછવામાં આવતા ભાજપના વડા જેપી નડ્ડાએ કહ્યુ, 'મનીષ સિસોદિયાને શરમ આવવી જોઈએ કે બીમારીના નામે સત્યેન્દ્ર જૈન એક બળાત્કારી પાસે માલિશ કરાવી રહ્યા છે. તેમને અત્યાર સુધી જામીન કેમ મળી શક્યા નથી? શું ત્યાં પૂરતા વકીલો નથી? તે ગંભીર કેસમાં જેલમાં છે તેથી તેમને જામીન મળવામાં મુશ્કેલી પડી રહી છે.' તમને જણાવી દઈએ કે દિલ્લીમાં નગર નિગમની ચૂંટણી પહેલા મંત્રી સત્યેન્દ્ર જૈનની તિહાર જેલમાં તેલ માલિશના ફૂટેજ સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી નિશાના પર છે.
1 અને 5 ડિસેમ્બરે ગુજરાતમાં મતદાન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે અને મતગણતરી 8મી ડિસેમ્બરે થશે. 2017ની ગુજરાત ચૂંટણીમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 99 બેઠકો જીતી હતી. પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે અને નરેન્દ્ર મોદી રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યમંત્રી રહ્યા છે. રાજ્યમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. હવે જોવાનુ એ છે જનતા કોના પર વિશ્વાસનો કળશ ઢોળે છે.