ગુજરાતમાં ગાય કોની? કોંગ્રેસની કે ભાજપની?
ગુજરાતમાં બુધવારથી ગૌહત્યાનો મામલો ગરમાયો છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને તેની પર રાજકીય રોટલો શેકવાની તૈયારીમાં છે. ત્યારે સવાલ તે થાય છે કે ગુજરાતમાં ગાય કોની?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગાયને લઇને મોટી વિવાદ શરૂ થઇ ગયો છે. ગૌહત્યાના મામલે કોંગ્રેસ અને ભાજપ બન્ને સામ સામે આવી ગયા છે. કેરળમાં યુથ કોંગ્રેસ દ્વારા ગૌહત્યા કરવામાં આવતા અને વિવાદ થતા અમદાવાદમાં સોલા ભાગવત કેમ્પસમાં ચૈતન્ય મહારાજે બુધવારથી 48 કલાકના ઉપવાસ બેઠા છે. જેના સમર્થનમાં ભાજપના કાર્યકર્તાઓ ઉતરતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ આવી પહોંચતા બન્ને વચ્ચે ઝપાઝપી અને પથ્થમરાના દ્રશ્યો સર્જાયા હતા. આ વચ્ચે રાજકોટમાં પણ કોંગ્રેસનું વિરોધ કરતા પોસ્ટર લાગ્યા હતા. તો સામે પક્ષે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ ગૌહત્યા રોકવા માટે તેમની સરકારે સૌથી પહેલા કાયદો બનાવ્યો હોવાની વાત આજે ઉચ્ચારી છે.
આમ હાલની પરિસ્થિતિને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગાય ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે એક મહત્વનો મુદ્દો બની ગઇ છે. ઉલ્લેખનીય છે ગૌહત્યા પર કાયદો કડક કર્યા પછી વિજય રૂપાણીએ આ અંગે પ્રચાર કરવાનું શરૂ કર્યું જ હતું ત્યાં કેરળની ઘટનાએ ગુજરાતમાં ગાય મહત્વ વધારી દીધું છે. તો આ મામલે બન્ને ભાજપ અને કોંગ્રેસ શું કહ્યું છે જાણો અહીં...
ભાજપ અને કોંગ્રેસ આમને સામને
બુધવારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અમદાવાદમાં સોલા ભાગવત ખાતે પથ્થરમારા સમેત ઝપાઝપી થઇ હતી. કેરળની ઘટના પછી ચૈતન્ય શંભુ મહારાજ 48 કલાકના અનશન પર બેઠા હતા. તે સ્થળે જ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામ સામે આવી ચઢતા વિવાદ વકર્યો હતો. અને પોલીસે યુન કોંગ્રેસના નેતાઓની અટક પણ કરી હતી. તો સામે પક્ષે આજે પણ ભાજપના અનેક મોટા નેતા ચૈતન્ય મહારાજને મળવા અને આ વિરોધ અંગે પોતાનું સમર્થન આપવા આવી રહ્યા છે.
રાજકોટમાં વિરોધ
તો ગુરુવારે રાજકોટના કિસાનપરા ચોક પર પણ ગૌ સેવા સમિતિ દ્વારા કોંગ્રેસ વિરોધી વિવિધ નારા સાથે પોસ્ટર લાગ્યા હતા અને તેની પર અલગ અલગ સુત્રો લખવામાં આવ્યો હતા. અને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ગૌહત્યાનો કાયદો કોંગ્રેસ લાવી: ભરતસિંહ
તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે આ મામલે વાતચીત કહ્યું હતું કે ગાય ભાજપ માટે ચૂંટણીનો મુદ્દો હશે પણ કોંગ્રેસ માટે તે આસ્થાનું કેન્દ્ર છે. કોંગ્રેસના શાસનકાળમાં ગુજરાતમાં ગૌહત્યાનો કાયદો બન્યો હતો. સાથે જ તેમણે ગોવા જેવા ભાજપ શાસિત રાજ્યોમાં હજી પણ ગૌમાંસ વેચાણ છે તેમ પણ જણાવ્યું હતું.
ગૌહત્યા પર ગુજરાતનું રાજકારણ
જો કે ગુજરાતમાં ગાય અને ગૌહત્યાએ હાલ ગુજરાતના રાજકારણને ગરમાઇ દીધુ છે તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી. ભાજપ અને કોંગ્રેસ ભલે ગાયને આસ્થાનું પ્રતીક કહેતા હોય પણ બન્ને પક્ષો આ દ્વારા તેમનો રાજકીય રોટલો શેકી રહ્યા છે. અને આ બધુ ગુજરાતમાં નવેમ્બરમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને થઇ રહ્યું છે તેવું લાગે છે.