ભાજપના નેતાઓ નવા વર્ષના સ્નેહમિલન કરીને રાજ્યભરમાં સભાઓ કરશે
ભાજપના નેતાઓ નવા વર્ષના સ્નેહમિલન કરીને રાજ્યભરમાં સભાઓ કરશે
પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના ૩૩ જીલ્લા તથા ૮ મહાનગર એમ કુલ, ૪૧ સ્થળો પર નવા વર્ષના શુભારંભમાં કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. આ સ્નેહમિલનમાં જે તે જીલ્લાના સંગઠન પ્રભારી, પ્રભારી મંત્રીશ્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને મુખ્ય કાર્યકરો ઉપસ્થિત રહીને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે અને ચૂંટણીલક્ષી રણનીતિથી વાકેફ કરશે.
સ્નેહમિલનમાં રજૂ કરાશે ભાજપની સિદ્ધિઓ
સ્નેહમિેલન કાર્યક્રમ અંગે માહિતી આપતાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતુ કે, ભાજપ કાર્યકર્તા હંમેશા સરકાર અને લોકો વચ્ચે સેવાસેતૂ બનીને કાર્ય કરે છે. પ્રજાલક્ષી અને સંગઠનલક્ષી કામગીરીને કારણે લોકમન અને લોકમતમાં કાર્યકર્તાઓનું મહત્વનું યોગદાન હોય છે. દર વર્ષે ભાજપા સંગઠન દ્વારા કાર્યકર્તાઓને બિરદાવીને આગામી કાર્યક્રમોની જાણકારી આ સ્નેહ સંમેલનોમાં આપવામાં આવતી હોય છે. આ સ્નેહમિલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની સિધ્ધિઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટિ વગેરે વિડીયો કાર્યકર્તાઓને બતાવવામાં આવશે. આ ઉપરાંત કાર્યકર્તાઓ દ્વારા દેશ, ગુજરાત અને પાર્ટી માટે ‘‘સંકલ્પ'' લેવામાં આવશે. તારીખ ૧૧ નવેમ્બર થી શરૂ થઇને તારીખ ૨૨ નવેમ્બર સુધી ચાલનારા જીલ્લા સ્નેહમિલનોમાં કાર્યકર્તાઓને ‘‘ચાલો બૂથ જીતીએ, લોકસભા જીતીએ'' ના સુત્ર સાથે ‘‘મારું બૂથ, મજબૂત બૂથ'' કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. ગુજરાત વિરોધી અપપ્રચાર, વેરઝેર અને અશાંતિ ફેલાવવાના પ્રયાસોને ગુજરાતની જનતાએ નિષ્ફળ બનાવ્યા છે ત્યારે ગુજરાતની શાંતિ એકતા વિકાસમાં વધુ યોગદાન આપવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
પ્રદેશ પ્રમુખ અને મુખ્યપ્રધાન પણ રહેશે હાજર
પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી નૂતન વર્ષ સ્નેહમિલનમાં ૧૧ નવેમ્બરના રોજ તાપી, ૧૪ નવેમ્બરના ભાવનગર, ૧૫ નવેમ્બરના રોજ મહિસાગર જીલ્લો તેમજ ખેડા જીલ્લો અને તારીખ ૨૨મી નવેમ્બરે રાજકોટ ખાતે સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહીને કાર્યકરોને નવા વર્ષના અભિનંદન તથા માર્ગદર્શન આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ૧૫ નવેમ્બરના રોજ અમદાવાદ શહેર, ૧૭ નવેમ્બરના રોજ રાજકોટ શહેર તથા ૧૮મી નવેમ્બરે મહેસાણા તેમજ ૧૯મી નવેમ્બરે કચ્છ જિલ્લા ખાતે સ્નેહસંમલનમાં ઉપસ્થિત રહેશે. ત્યારે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ૧૮ નવેમ્બરના રોજ મહેસાણા ખાતે સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છા તથા માર્ગદર્શન આપશે.
કેન્દ્રિય પ્રધાનો પણ સ્નેહમિલન સમારોહમાં આપશે હાજરી
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા તારીખ ૧૬ નવેમ્બરના રોજ અમરેલી જીલ્લો, તારીખ ૧૭ના રોજ વલસાડ, અને તારીખ ૨૧ના રોજ ગાંધીનગર શહેરમાં સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છા તથા માર્ગદર્શન આપશે. તો મનસુખ માંડવીયા તારીખ ૧૭ નવેમ્બરના રોજ જામનગર જિલ્લા તથા જામનગર શહેર, તારીખ ૧૮ના રોજ દેવભૂમિ દ્વારકા તથા તારીખ ૨૨મી નવેમ્બરના રોજ રાજકોટ જિલ્લા ખાતે સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છા પાઠવશે. પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા ૧૧ નવેમ્બરના રોજ બનાસકાંઠા, ૧૩ નવેમ્બરના રોજ સાબરકાંઠા, તારીખ ૧૪મી નવેમ્બરના રોજ આણંદ, તારીખ ૧૫મી નવેમ્બરના રોજ અમદાવાદ, તેમજ અરવલ્લી, પાટણ અને રાજકોટ ખાતે યોજાનાર સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી નૂતન વર્ષની શુભેચ્છા તથા માર્ગદર્શન આપશે.