ભાજપનું સંકલ્પપત્ર 25 વર્ષના વિકાસનું સર્વસમાવેશી ચિત્ર છેઃ નરેન્દ્ર મોદી
આ ચૂંટણી માત્ર એક સરકાર બનાવવા માટેની નથી. આ ચૂંટણી આગામી ૨૫ વર્ષ પછી જ્યારે દેશ આઝાદીના ૧૦૦ વર્ષ ઉજવે ત્યારે ગુજરાત વિકસીત હોય અને કોઇપણ માપદંડમાં પાછળ ન હોય તેવું ગુજરાત બનાવવાની ચૂંટણી છે. ખેડાની આ ધરતી સરદાર સાહેબની ધરતી છે. ગુજરાત ભાજપે બહાર પાડેલ સંકલ્પ પત્ર એ આગમી ૨૫ વર્ષમાં નવું ગુજરાત બનાવવા માટેનો અને સર્વસમાવેશી સંકલ્પ પત્ર છે.
નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ જિલ્લાએ કોંગ્રેસને સૌથી નજીકથી જોયેલો છે. કોંગ્રેસે આ જિલ્લાની જનતા લૂંટી લઇ જિલ્લાને પછાત જ રાખ્યો હતો. ગુજરાતની માટીએ મને મોટો કર્યો છે અને ગુજરાતની જનતા જનાર્દને મને શિક્ષીત કર્યો છે. અહીંની શિક્ષા લઇ દિલ્હી ગયો છું પણ મારા હૃદયમાં દલીતો, વંચિતો અને ગરીબો માટેનો પ્રેમ ઓછો થયો નથી. જે સમાજ, લોકો અને પરિવારો પાછળ રહી ગયા છે તેની ચિંતા કરવાવાળો પક્ષ એટલે ભાજપ. દુનિયાના લોકો આજે કહે છે કે ભારત દેશમાંથી ગરીબી હટી રહી છે આનાથી મોટું સર્ટીફીકેટ બીજું ના હોઇ શકે. ભાજપા સરકારે શિક્ષણની ચિંતા કરી ઉત્તમ પ્રકામની શાળાઓ આપી છે. રોજગારી ઉપાર્જન કરી છે.
ગરીબો અને પછાત વર્ગના બાળકોને પી. એમ. યશસ્વી યોજના દ્વારા કોઇ પણ જાતની કટકી વગર સ્કોલરશીપ આપવામાં આવી છે. શ્રેયસ યોજના હેઠળ પી.એચ.ડી કરવા માટે સહાય આપવામાં આવે છે. કોંગ્રેસના શાસનમાં ઓ. બી. સી. માટે ઓ.બી.સી. કમીશનની રચના કરવા માટે વારંવાર માંગણી કરવામાં આવી હતી તેમને તો માંગણીનો સ્વિકાર કર્યો નહીં પરંતુ ભાજપાની સરકાર બનતાં પરવાનગી તો આપી અને સાથે સાથે સંવૈધાનિક દરજ્જો પણ આપવામાં આવ્યો છે. બિન અનામતના લોકો માટે ૧૦ ટકા અનામત આપી છે, આ અનામત ન મળે તે માટે કોંગ્રેસે કેટલાય ધમપછાડ કર્યા. સુપ્રિમ કોર્ટેમાં અરજી કરી, અને સુપ્રિમ કોર્ટે પણ ૧૦ ટકા અનામતની મંજુરીની મહોર મારી છે.