સંપર્ક ફોર સમર્થન અભિયાનઃ જિતુ વાઘાણીએ સામાજિક અગ્રણીઓ સાથે કરી મુલાકાત
ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુર્ણ થયાની ઉજવણી સંપર્ક ફોર સમર્થન અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે.
ભાજપ દ્વારા કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુર્ણ થયાની ઉજવણી સંપર્ક ફોર સમર્થન અભિયાન દ્વારા કરવામાં આવી રહી છે. ભાજપના ટોચના નેતાઓ ખ્યાતનામ વ્યક્તિઓ સાથે મુલાકાત કરીને તેમને ભાજપ સરકારની ચાર વર્ષના કાર્યકાળમાં હાંસલ કરેલ સિદ્ધિઓ વર્ણવી રહ્યા છે. ત્યારે, ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ''સંપર્ક ફોર સમર્થન’’ અંતર્ગત પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, મૂર્ધન્ય સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને જાણીતા ધારાશાસ્ત્રી સુધીર નાણાવટી તથા સી.એ. સુનીલ તલાટી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે સંવાદ કર્યો હતો.
ભાજપનું સંપર્ક ફોર સમર્થન અભિયાન
હાલમાં ભાજપ દ્વારા ‘‘સંપર્ક ફોર સમર્થન'' કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત સમગ્ર દેશભરના ૪૦૦૦ જેટલા આગેવાનો દેશભરના ખ્યાતનામ લોકોને મળી રહ્યા છે. દરેક આગેવાન ઓછામાં ઓછા ૨૫ સામાજીક વિશેષ અગ્રણીઓને મળીને કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ વિશે ચર્ચા - વિમર્શ કરશે. આ દરમિયાન ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા લોકાભિમુખ કાર્યોથી વાકેફ પણ કરવામાં આવશે. ભાજપ સરકારના ચાર વર્ષની કાર્યસિદ્ધિઓની પુસ્તિકા પણ આપવામાં આવશે.
વિશિષ્ઠ સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ‘‘સંપર્ક ફોર સમર્થન'' અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે વિશ્વવિખ્યાત નેફ્રોલોજીસ્ટ અને પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી, મૂર્ધન્ય સાહિત્યકાર અને જ્ઞાનપીઠ એવૉર્ડ વિજેતા રઘુવીર ચૌધરી, ખ્યાતનામ એડવોકેટ અને ગુજરાત નોલેજ સોસાયટી યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ સુધીર નાણાવટી તથા ખ્યાતનામ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ઇન્ટીટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રેસીડેન્ટ સુનીલ તલાટી સાથે મુલાકાત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી હતી.
કેન્દ્ર સરકારની કલ્યાણકારી નીતિઓ પર વિચાર વિમર્શ
ભાજપ પ્રદેશ અધ્યક્ષની વિશેષ વ્યક્તિઓ સાથેની મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી નીતિઓ અંગે ચર્ચા - વિમર્શ કર્યો હતો. આ મુલાકાત દરમ્યાન પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના તેમના જુના સંસ્મરણો વાગોળ્યા હતા.
ભાજપના નેતાઓ લોક સમર્થન માટે કરશે પ્રયાસ
કેન્દ્ર સરકારની ચાર વર્ષની ઉજવણી અંગેના આ કાર્યક્રમ અંગે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભાજપ દ્વારા ‘‘સંપર્ક ફોર સમર્થન'' અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત સમગ્ર દેશભરમાં ભાજપાના ૪૦૦૦ આગેવાનો દ્વારા સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતા તેમજ જેમણે પોત પોતાના ક્ષેત્રોમાં વિશિષ્ઠ સિધ્ધિઓ હાંસલ કરી તેવા ઓછામાં ઓછા ૨૫ વિશિષ્ટ લોકોને રૂબરૂ મુલાકાત કરશે. દેશભરમાં વિશિષ્ઠ લોકોના સમર્થન અને તેમના કાર્યોને દેશ વિકાસ માટે સાંકળવા પ્રયાસ કરવા અને સૌનો સાથ સૌનો વિકાસ સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષના કાર્યો, યોજનાઓ, સિધ્ધિઓ, કાર્યપધ્ધતિ, ભવિષ્યની નવા ભારત વિશેની સંકલ્પના અંગે ચર્ચા-વિચારણા કરવાનું કાર્ય આ અભિયાનના માધ્યમથી હાથ ધરવામાં આવ્યુ છે. જે કાર્યક્રમમાં દેશભરના ભાજપના કાર્યકરો અને નેતાઓ જોડાઇને કેન્દ્રની યોજનાથી લોકોને વાકેફ કરશે.