અંબાજીના દર્શન કરી 'મર્દાની' રાની મુખરજી ગુજરાતના CM આનંદીબેનને મળી
ગાંધીનગર, 16 ઓગસ્ટ : આજે બોલીવુડની 'મર્દાની' અભિનેત્રી રાની મુખરજી ગુજરાતની મહેમાન બની હતી. રાની મુખરજી પોતાની નવી ફિલ્મ 'મર્દાની'ના પ્રમોશન અંતર્ગત બે શક્તિઓને મળી હતી. પ્રથમ શક્તિ એટલે માતા અંબાજીના દર્શન કર્યા હતા. જ્યારે બીજી શક્તિ એટલે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી.
આજે સવારે રાની મુખરજીએ સવારે 7 વાગે અંબાજી મંદિરમાં માતાની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. રાની એ VIP ગેટમાંથી એન્ટ્રી મેળવીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ભારતમાં 51 શક્તિપીઠો પૈકી એક અંબાજી શક્તિપીઠના દર્શન બાદ તે દર્શન કરી પોતાના ઉતારા અંબાજી ખાતેના ઇસ્કોન અંબે વેલી તરફ રવાના થઇ હતી. ત્યાર બાદ રાની મુખર્જી સવારે 9.30 વાગે મંદિરમાં ફરી પાછી આવી અને માતાજીને ચૂંદડી ચઢાવી હતી.
મંદિરમાં દર્શન કર્યા પછી પત્રકારોને સંબોધન કરતા રાનીએ જણાવ્યું હતું કે મને માતાનો બોલાવો આવ્યો હોવાથી હું આજે અહિં એમના દર્શન કરવા માટે આવી છું. મારી આવનારી ફિલ્મોની સફળતા માટે મેં આજે પ્રર્થના કરી છે.
જો કે રાની મુખરજીની હાજરીને પગલે માતા અંબાજીના દર્શને આવેલા ભક્તોએ દર્શન કર્યા બાદ રાનીને જોવા માટે મંદિરમાં ભીડ જમાવી દીધી હતી.
આજે બપોરના સમયે તે ગાંધીનગર પહોંચી હતી. ગુજરાતના પાટનગરમાં તેણે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં રાણીએ આનંદીબેનના મહિલા સશક્તિકરણના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી અને તેને બિરદાવ્યા હતા.
સીએમ સાથેની મુલાકાત બાદ તે અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબમાં પ્રમોશનલ ઇવેન્ટમાં જોડાઈ હતી અને પત્રકારો સાથે રૂબરુ મુલાકાત કરી હતી.