ગાંધીનગર, 5 માર્ચઃ ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. દેશભરમાં 9 તબક્કામાં મતદાન થવાનું છે, જેમાં ગુજરાતમાં 30 એપ્રિલના રોજ મતદાન થશે. ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થવાનું છે. આ દરમિયાન ગુજરાતમાં 26 લોકસભા અને 7 વિધાસભાની બેઠકો માટે મતદાન થશે.
ગુજરાતમાં ચૂંટણી અંગે વાત કરીએ તો, રાજ્યમાં 9મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે, 30મી એપ્રિલે મતદાન કરવામાં આવશે અને 16મી એપ્રિલે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે, જે દિવસે જાહેર થઇ જશે કે દેશના આગામી વડાપ્રધાન કોણ હશે. ગુજરાતમાં કુલ 45,313 પોલિંગ સ્ટેશન છે, જ્યાં 3,98,71,571 મતદાતાઓ મત આપશે, જેમાં 2,08,64,863 પુરુષો, 1,90,06,447 મહિલાઓ અને 261 અન્ય મતદાતાઓ છે.
વિધાનસભાની બેઠકની વાત કરવામા આવે તો અબડાસા, રાપર, હિમતનગર, વિસાવદર, સોમનાથ, લાઠી અને માંડવી બેઠકમાં થયેલી રાજકીય ઉથલ પાથલના કારણે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો પર થયેલી ઉથલ પાથલ પર તસવીરો થકી એક નજર ફેરવીએ.
અબડાસા
અબડાસા બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય છબીલદાસ પટેલે રાજીનામું આપી દીધું હતું અને તેઓ ભાજપમાં જોડાયા હતા. જેથી આ બેઠક ખાલી પડતાં ત્યાં પેટા ચૂંટણી થવાની છે.
રાપર
રાપરના ભાજપના ધારાસભ્ય વાઘજીભાઇ પટેલનું નિધન થતાં બેઠક ખાલી પડી છે. જેથી આ બેઠક પર પેટા ચૂંટણી થવાની છે.
માંડવી
માંડવી વિધાનસભાના ધારાસભ્ય પ્રભુ વસાવાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા હતા. જેથી આ બેઠક ખાલી પડતાં ત્યાં પેટા ચૂંટણી થવાની છે.
હિંમતનગર
હિંમતનગરના કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જેથી આ બેઠક ખાલી પડતાં ત્યાં પેટા ચૂંટણી થવાની છે.
વિસાવદર
ગુજરાત પરિવર્તન પાર્ટીના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલે પણ વિસાવદરની બેઠક પરથી ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. જેથી આ બેઠક ખાલી પડતાં ત્યાં પેટા ચૂંટણી થવાની છે.
સોમનાથ
સોમનાથના ધારાસભ્ય જશાભાઇ બારડે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા. જેથી આ બેઠક ખાલી પડતાં ત્યાં પેટા ચૂંટણી થવાની છે.
લાઠી
લાઠીના કોંગ્રેસના ધારાસભ્ય બાવકુ ઉંઘાડ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતાં. જેથી આ બેઠક ખાલી પડતાં ત્યાં પેટા ચૂંટણી થવાની છે.