CBIનો દાવો : ઇશરત કેસ સાથે સંકળાયેલી ટેપ સાચી છે
નવી દિલ્હી, 16 ઓગસ્ટ : સીબીઆઇએ દાવો કર્યો છે કે ગુજરાતના ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આરોપીઓને બચાવવાના ઉપાયો માટે ગુજરાત સરકારના અધિકારીઓ વચ્ચેની કહેવાતી વાતચીત અંગેની જે ટેપ છે તે સાચી છે.
સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે ગુજરાત પોલીસના આરોપી અધિકારીઓમાંથી એક અધિકારી દ્વારા આપવામાં આવેલી ટેપ સાથે કોઇ છેડછાડ કરવામાં આવી નથી અને પ્રથમ દ્રષ્ટિએ તે સાચી લાગે છે. આ બાબતને સમજવા માટે ટેપમાં જે લોકોના અવાજ હોવાનું કહેવાય છે તે એ જ લોકોના છે. આ મામલે અદાલતે દરમિયાનગીરી કરવાની જરૂર છે.
સીબીઆઇએ એમ પણ જણાવ્યું કે વાતચીતમાં જે લોકો છે તેઓ ગુજરાત સરકારના અધિકારીઓ છે. જેમની કેટલાક પ્રત્યક્ષદર્શીઓ અને આરોપીએએ પૂછપરછ દરમિયાન ઓળખ કરી હતી. તેમણે કહ્યું કે ટેપમાં જે લોકોના સંભવિત અવાજ છે તેમનો અવાજ મેચ કરી શકાય છે. જો કે અવાજના નમૂના માત્ર અદાલતની પરવાનગી બાદ જ મેળવી શકાય છે.
સૂત્રોએ જણાવ્યું કે જે લોકોના અવાજના નમૂના માટે અનુરોધ કરવામાં આવ્યો છે તેમની સહમતિ આપવા પણ જરૂરી છે. જો કે તેમણે એવો દાવો પણ કર્યો છે કે ટેપ અદાલતમાં કાયદાકીય રીતે સ્વીકાર્ય નમૂનો છે. આ વાતચીત મોટા ભાગે એસઆઇટી તપાસ અને ત્યાર બાદની યોજના સંબંધિત છે.