કેન્દ્રએ ગુજરાત સરકારને જુની કૃષિ વીમા યોજના ચાલુ રાખવા મંજુરી આપી
અમદાવાદ, 28 જૂન : કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને વધુ એક વર્ષ માટે તેની જુની કૃષિ વીમા યોજના એટલે કે નેશનલ એગ્રીકલ્ચર ઇન્શ્યોરન્સ સ્કીમ (એનએઆઇએસ - NAIS) ચાલુ રાખવા માટે મંજુરી આપી દીધી છે.
આ અંગે ગુજરાત રાજ્યના પ્રવક્તા નીતિન પટેલે એક સરકારી યાદીમાં જણાવ્યું છે કે 'લોકસભાની ચૂંટણીઓ આવી રહી હોવાને કારણે યુપીએસ સરકારે નેશનલ એગ્રીકલ્ચર ઇન્શ્યોરન્સ સ્કીમ (એનએઆઇએસ - NAIS)માં ફેરફાર કર્યા હતા. જેમાં પાક નિષ્ફળ જાય તો ખેડુતોને વધારે સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જો કે નવી સુધારેલી યોજના ખેડૂતો વિરુદ્ધ હતી. તાજેતરમાં દિલ્હી મુલાકાત સમયે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આ સંબંધમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો.'
નીતિન પટેલે જણાવ્યું કે 'હવે કેન્દ્ર સરકારે નવી સુધારેલી નેશનલ એગ્રીકલ્ચર ઇન્શ્યોરન્સ સ્કીમ (એનએઆઇએસ - NAIS)ને અમલી બનાવવાને બદલે જુની NAISને ચાલુ રાખવા માટે મંજુરી આપી દીધી છે. યુપીએ સરકાર દ્વારા કરવામાં આવેલા સુધારાને કારણે ખેડૂતો પર ભારણ વધતું હતું. નવી યોજનામાં પ્રિમિયમ બિનજરૂરી રીતે વધારી દેવામાં આવ્યું હતું, જ્યારે વીમા રકમ ઘટાડી દેવામાં આવી હતી.આ ઉપરાંત યુપીએ સરકારે આ યોજનાનું કામકાજ ખાનગી કંપનીને સૌંપીને તેમાં ખાનગીકરણ કર્યું છે. પહેલા આ સરકારી યોજના હતી.'
પટેલે જણાવ્યું કે 'આ મુદ્દે ગુજરાત સરકારે યુપીએ સરકાર સમક્ષ અનેક પ્રેઝન્ટેશન્સ રજૂ કર્યા હતા અને જુની યોજના ચાલુ રાખવા ભલામણ કરી હતી. જો કે અમારી માંગણીને સ્વીકારવામાં આવી ન હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અમારા મુખ્યમંત્રીએ તેમની સાથે મુલાકાત યોજી હતી. અને જુની કૃષિ વીમા યોજના જ ચાલુ રાખવા માંગણી કરી હતી. વડાપ્રધાને તેમની માંગણીને માન્ય રાખેની કેન્દ્રીય કૃષિ મંત્રીને તે બાબતમાં ધ્યાન આપવા જણાવ્યું હતું,'
ગુજરાતના પ્રવક્તાએ જણાવ્યું કે 'શુક્રવારે એક સરકારી પત્ર દ્વારા ગુજરાત સરકારને જુની NAIS યોજના ચાલુ રાખવા સંબંધમાં મંજુરીની જાણ કરવામાં આવી હતી. આ કારણે ખેડૂતોને વધુ એક વર્ષ જુની યોજનાનો લાભ મળશે.આ કારણે ખેડૂતોને તેમના પાક વીમા પર 1.5થી 3.5 ટકા જેટલું જ પ્રીમિયમ ભરવું પડશે. કેન્દ્ર સરકારની મંજુરીથી આનંદીબેન પટેલે ખુશી જાહેર કરી છે.'