ગાંધીનગરમાં દલિત સમર્થન રેલી મુદ્દે કોંગ્રેસ - પોલીસ વચ્ચે ઘર્ષણના એંધાણ
ગાંધીનગરમાં રેલી યોજીને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મળીને થાનગઢની ઘટનામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓને મેમોરેન્ડમ આપવાની અને પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા યુવકોના પરિવારજનોને રૂ. 10 લાખનું વળતર અને ઘાયલોના કુટુંબને રૂ. 2 લાખનું વળતર ચૂકવવા આદેશ કરવાની માંગણી કરવાના છે.
સોમવારે સવારથી જ કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીનગરના પથિકાશ્રમ પાસેના મેદાનમાં રેલી કાઢીને એકત્ર થવાનો નિર્ણય લીધો હતો. આ કારણે સલામતીના પગલા માટે પોલીસે ગાંધીનગરના તમામ પ્રવેશમાર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરીને કાર્યકરોને આવતા રોકવાનું શરૂ કર્યું છે.
પોલીસે કોંગ્રેસ કાર્યકરોના અનેક વાહનો જપ્ત કરી તેમને આવતા રોક્યા છે. અનેક કાર્યકરોની ધરપકડ કરી છે. કોંગ્રેસના કાર્યકરોએ બપોરે એક વાગે પથિકાશ્રમ એકત્ર થવાનો નિર્ણય કરતા હવે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ છે.
આ અંગે ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ગિરિશભાઇ પરમારે જણાવ્યું કે 'ગાંધીનગરમાં નક્કી કરવામાં આવેલો કાર્યક્રમ અમે કોઇ પણ ભોગે ચાલુ રાખવા માંગીએ છીએ. પોલીસે અમારા અનેક કાર્યકરો અને તેમના વાહનો જપ્ત કર્યા હોવાના સમાચાર મળ્યા છે. હું ગાંધીનગર પહોંચી ગયો છું. પોલીસને અમારી ધરપકડ કરવી હોય તો ભલે કરે. અમે બપોરે એક વાગે પથિકાશ્રમ એકત્ર થઇશું.'
ઉલ્લેખનીય છે કે થાનગઢમાં ચાલી રહેલા મેળામાં 21 સપ્ટેમ્બરે બે જૂથો વચ્ચે થયેલી અથડામણ નિયંત્રણમાં લેવા પોલીસે કરેલા ગોળીબારમાં ત્રણ દલિત યુવકોના મોત નિપજ્યાં હતાં. કોંગ્રેસે આ બાબતમાં સીબીઆઇ તપાસ કરાવવાની માંગણી કરી હતી.