ખાતાની ફાળવણી મામલે ખેંચતાણની વાત CM રૂપાણીએ નકારી
નાણાં ખાતું સૌરભ પટેલના હાથમાં. ખાતાની ફાળવણીમાં ખેંચતાણ હોવાની વાત સીએમ રૂપાણીએ નકારી. આ અંગે વધુ વાંચો અહીં...
ગુરૂવારે મોડી રાત્રે રાજ્યમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. એ પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મીડિયાનુંસંબોધન કર્યું હતું. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ કેબિનેટ બેઠક અંગે માહિતી આપી હતી અને સાથે જ ખાતાની ફાળવણીની જાહેરાતમાં મોડું થયા હોવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, ખાતાની ફાળવણી અંગેનો નિર્ણય આજે જ લેવાનો હતો,પરંતુ મોવડી મંડળ સાથેના પરામર્શમાં વાર થઇ હોવાથી મોડું થયું છે. સંસદમાં ત્રણ તલાક મુદ્દે ચાલેલ લાંબી ચર્ચાને પરિણામે વાર થઇ છે.
ઉલ્લેખનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહેલાં નાણાં મંત્રી પણ હતા, પરંતુ ખાતાની ફાળવણીમાં હવે નાણાં ખાતું સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે. ખાતા ફાળવણીમાં વાર થઇ હોવાનું કારણ આ મામલે થયેલી ખેંચતાણ તો નથી ને, એવા પ્રશ્નના જવાબમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વાર થઇ હોવાનું કારણ એટલું જ છે કે, મોવડી મંડળ સાથેના પરામર્શમાં મોડું થયું, બીજું કોઇ કારણ નથી. ખાતાની ફાળવણી અંગે કોઇ પણ પ્રકારની ખેંચતાણ થઇ નથી. નાણાં ખાતું નં.2 પર આવે એવું નથી. નીતિન પટેલ આજે પણ નં.2 પર જ છે અને તેમના બહોળા અનુભવ અને માર્ગદર્શનનો લાભ સરકારને હંમેશા મળશે. નવા લોકો ચૂંટાઇને આવ્યા છે અને તેમની મદદથી વિકાસની દિશામાં ગતિ કરી શકાય એવી ટીમ સ્પિરિટ સાથે અમે સૌઆગળ વધી રહ્યાં છીએ. નીતિન પટેલની વહીવટી શક્તિઓનો સરકારમાં ઉપયોગ વધશે.