CMની અધ્યક્ષતામાં સીમા દર્શન રિવ્યૂ બેઠક યોજાઇ, 39 કરોડના વિકાસ કાર્યો મંજૂર
વિજય રૂપાણીએ ગુજરાતમાં બોર્ડર ટૂરિઝમ સાથે નાગરિકોમાં રાષ્ટ્ર ભકિતભાવના ઊજાગર કરતા નડાબેટ ખાતે સીમાદર્શન માટે વધુ વિકાસ સુવિધાઓના નિર્માણ
રાજ્યની ઉત્તરે ભારત પાકિસ્તાન સરહદને સીમા દર્શનના રૂપમાં વિકસાવવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં બોર્ડર ટૂરિઝમ સાથે નાગરિકોમાં રાષ્ટ્ર ભકિતભાવના ઊજાગર કરતા નડાબેટ ખાતે સીમાદર્શન માટે વધુ વિકાસ સુવિધાઓના નિર્માણ હેતુ બીજા તબક્કામાં ૩૯ કરોડ રૂપિયાના પ્રોજેકટને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેકટ અંતર્ગત નડાબેટ ખાતે એકઝીબીશન હોલ અને અંદાજે પાંચ હજાર વ્યકિતઓ એક સાથે બેસી શકે તેવી ક્ષમતાનું પરેડ ગ્રાઉન્ડ તેમજ ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી માળખાકીય વિકાસ કાર્યો હાથ ધરાશે.
સીમા દર્શન માટે વધુ ગ્રાન્ટની કરી ફાળવણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને રાજ્યના સીમાદર્શન સહિતના અન્ય પ્રવાસન પ્રોજેકટસના અવલોકન, માર્ગદર્શન માટે યોજાયેલી બેઠકમાં આ સૈધ્ધાંતિક મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. નડાબેટ સીમાદર્શનના આ પ્રવાસન પ્રોજેકટમાં હાલ પ્રથમ તબક્કાના રૂ. રર કરોડના વિવિધ માળખાકીય સુવિધા વિકાસના કામો પ્રગતિમાં છે. જેમાં હવે નવા 39 કરોડના કામો ઝડપી ધોરણે હાથ ધરાશે.
બોર્ડર ટૂરિઝમને વધુ ઝડપી વિકસાવશે
મુખ્યમંત્રીએ બોર્ડર ટૂરિઝમના આ ગુજરાત પ્રયોગ પ્રોજેકટમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયનો પણ નાણાં સહયોગ મળે તે હેતુથી દરખાસ્ત મોકલવા પણ બેઠકમાં સૂચન કર્યુ હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની પ્રેરણાથી ર૦૧૬માં ડિસેમ્બરની ર૪ તારીખે બનાસકાંઠાના સૂઇગામ તાલુકામાં નડાબેટ બોર્ડર ખાતે આ સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમનો પ્રારંભ થયો હતો. અત્યાર સુધીમાં ૧ લાખ જેટલા પ્રવાસીઓ-યુવાઓ આ સીમાદર્શન કાર્યક્રમમાં સહભાગી થયા છે.
વાઘા બોર્ડરની પેટર્ન પર થશે નડાબેટનો વિકાસ
ગુજરાતની સમુદ્રી સીમા સાથે જમીની સરહદ પણ દુશ્મન સાથે નજદીકથી જોડાયેલી છે અને જો આ સરહદી યુધ્ધ થાય તો બી.એસ.એફ.એ સીધો મુકાબલો દુશ્મન દળોનો કરવો પડે છે. આ સંદર્ભમાં બી.એસ.એફ.જવાનોની દિલેરી-જવામર્દીને સૌ કોઇ જાણે તે હેતુથી ગુજરાતમાં આ સીમા દર્શન વાઘા બોર્ડર પેટર્ન ઉપર શરૂ કરવામાં આવ્યો છે. અહીં આવનાર હરકોઇ રાષ્ટ્રપ્રેમ-દેશદાઝથી તરબતર થઇ જાય તેવું રોમાંચક વાતાવરણ આ સીમાદર્શન કાર્યક્રમની પહેલ પુરી પાડે છે.
રણ વિસ્તારમાં પ્રવાસીઓનું વધ્યું આકર્ષણ
બોર્ડર ટુરીઝમનો આ નવતર અભિગમ રાજય-રાષ્ટ્રના લોકોને બોર્ડરને જાણવાનો બોર્ડરને માણવાનો અવસર આપે છે. સરહદ સાચવતા બી.એસ.એફ. જવાનોની જીવનચર્યા-કપરા સંજોગોમાં તેમની વતનરક્ષા પરસ્તીને પણ પ્રત્યક્ષ અનુભવવાનો આ પ્રયોગ ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને નવી દિશા આપી રહ્યો છે. સીમાદર્શનના આ બોર્ડર ટૂરિઝમને પરિણામે રણવિસ્તારમાં ઇકોનોમીક એકટીવીટીને પણ નવું બળ મળ્યું છે. આ વિસ્તારમાં પ્રવાસન પ્રેમીઓ આવતા થતાં સ્થાનિક રોજગાર-વ્યવસાય અવસરો ગ્રામીણ યુવાઓ અને પરિવારોને મળતા થતાં આર્થિક આધાર મળ્યો છે.
છેવાડાના સૂઇગામને વિશ્વ ફલક પર મળ્યું સ્થાન
પ્રવાસીઓને બોર્ડર ટૂરિઝમ સાથે ઘૂડખર, ફલેમીંગો-ડેઝર્ટ સફારીનું આકર્ષણ ઉમેરીને સફેદ રણની પરિપાટીએ વિશ્વના પ્રવાસન નકશામાં સૂઇગામને સ્થાન અપાવવાની દિશામાં પણ આ બેઠકમાં વિચાર-વિમર્શ થયો હતો. રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વિકસાવવામાં સીમા દર્શન મહત્વપૂર્ણ સાબિત થાય અને વધુમાં વધુ પ્રવાસીઓ અને પ્રવાસન ઉદ્યોગની સાથે રોકાણકારો અને સ્થાનિક રોજગારીની તકો વિકસે તે દિશામાં રાજ્ય સરકારે પ્રયાસ કરવા કદમ ઉઠાવ્યા છે.