પારદર્શી સરકારના CM વિજય રૂપાણીએ કરી ભ્રષ્ટાચારની કબુલાત
ગુજરાત રાજ્યમાં એક તરફ પારદર્શી વહિવટ હોવાનો સરકાર દાવો કરે છે. તો, બીજી તરફ ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભ્રષ્ટાચાર હોવાનું સ્વિકારી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં એક તરફ પારદર્શી વહિવટ હોવાનો સરકાર દાવો કરે છે. તો, બીજી તરફ ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભ્રષ્ટાચાર હોવાનું સ્વિકારી રહ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં શહેરી વિકાસ, મહેસુલ અને પોલીસ જેવા ચાર-પાંચ વિભાગો ભ્રષ્ટાચાર માટે બદનામ હોવાનો જાહેર મંચ પરથી એકરાર કર્યો છે. ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં સોમવારે એક કાર્યક્રમમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્લાન-નકશા ઉપરાંત એન.એ.માં પણ રૂપિયા ખવાતા હોવાનો મને ખ્યાલ છે. પરંતુ આજે નહીં તો કાલે તે બંધ કરવા માટે નિર્ણય કરવો જ પડશે. આથી સરકાર સંવેદનશીલતા સાથે નવો એપ્રોચ રાખી બધા જ અરજદાર પ્રામાણિક હોવાનો ભરોસો રાખવા માંગે છે. પરંતુ બે ટકા ખોટું કરનારાઓને પણ છોડવામાં નહીં આવે. તેમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં બાંધકામ પરવાનગીની કાર્યવાહી ઓનલાઈન કરવાનો કાર્યક્રમ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવચન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં શહેરી વિકાસ ઝડપી બનાવવામાં લોકોને પૈસા આપવા ના પડે અને અધિકારીઓ સત્તાનો દુરપયોગ કરે નહીં તે માટે ઘરે બેઠા જ મંજુરી મળે તેવો ગુડ ગવર્નન્સનો આ પ્રયાસ છે.
સરકારના કેટલાક વિભાગો ભ્રષ્ટાચાર માટે બદનામ
શહેરી વિકાસ, મહેસુલ અને પોલીસ જેવા ચાર-પાંચ વિભાગો ભ્રષ્ટાચાર માટે બદનામ હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં એકરાર કરતા જણાવ્યું હતું કે, પ્લાન-નકશા અને NAમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે તે મને ખબર છે. જયારે અધિકારીઓને પણ ખબર હોય છે કે, તેમાં કેટલો નફો હોય છે..! આથી આવી ભ્રષ્ટ નીતિરીતીથી લોકોને મુક્તિ મળે તે હેતુથી સરકારે નવી સંવેદના સાથેનો એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. સરકારને અરજદાર ખોટું કરે તેવું માનવાનું કારણ નથી અને તેમના ઉપર ભરોસો છે. કારણ કે, ખોટું કરનારા બે ટકા જ છે અને બાકી પ્રામાણિક છે ત્યારે ખોટું કરનારને પણ છોડવામાં આવશે નહીં. યોગ્ય કાર્યવાહી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઓનલાઈનમાં ખોટું કરનારનું ચાલશે નહી
કોઈપણ વિકાસ કામોમાં કન્સલ્ટ સાથે બેસીને આગળ વધવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં ખેડૂતો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરવામાં આવશે. ઓનલાઈન પ્રક્રિયામાં ખોટું કરનારાઓનું હવે કશું જ ચાલવાનું નથી એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, તેનાથી હવે અરજદારોને અધિકારીઓને મળવા માટે કચેરીનું પગથીયું પણ ચઢવું પડશે નહીં.
રાજ્યમાં ખરેખર વધ્યો છે ભ્રષ્ટાચારનો વ્યાપ
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. સરકારના કેટલાક વિભાગોમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. ખાસ કરીને, શહેરી વિભાગ, મહેસુલ વિભાગ, પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. સરકારી ફાઈલોની હેરફેરમાં મોટા પ્રમાણમાં ગેરકાનુની નાણાંકીય લેવડ દેવડ પણ જોવા મળે છે. લોકાયુક્ત અને આરટીઆઇનો યોગ્ય અમલ થતો ન હોવાના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતું રહ્યું છે.