નિશાના પર કોંગ્રેસ,બાપુએ પણ આપી પૂરગ્રસ્તોની મદદ કરવાની સલાહ
ગુજરાત કોંગ્રેસના 40 ધારાસભ્યો હાલ બેંગ્લોરના રિસોર્ટમાં છે, કોંગ્રેસના આ નિર્ણયની વિજય રૂપાણી અને શંકરસિંહ વાઘેલાએ નિંદા કરી છે.
ગુજરાતના રાજકારણમાં હાલ વાતાવરણ ગરમાયેલું છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા બાદ એક પછી એક કુલ 6 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. આ સમાચાર હજુ પચે એ પહેલાં શનિવારે સમાચાર સાંભળવા મળ્યાં કે, ગુજરાત કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો બેંગ્લુરૂ પાસે આવેલ એક ભવ્ય રિસોર્ટમાં પહોંચ્યા છે. કોંગ્રેસ પોતાના આ નિર્ણય માટે ગમે-તે કારણ આગળ ધરે કે આને ગમે તે નામ આપે, પરંતુ ગુજરાતના રાજકારણમાં આ પગલાંની કઠોર નિંદા થઇ રહી છે.
ગુજરાત કોંગ્રેસ
ગુજરાતમાં હજુ પણ કેટલાયે વિસ્તારોમાં પૂરની અસર જોવા મળે છે, 8 ઓગસ્ટના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે, ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ તમામ ચિંતાઓ છોડીને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો કર્ણાટકના રિસોર્ટમાં આરામ ફરમાવી રહ્યા હોવાની છબી ઊભી થઇ છે. 8 ઓગસ્ટના રોજ યોજાનાર રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેઓ થોડો સમય અહીં જ રોકાનાર છે.
કોંગ્રેસ MLAનું બેંગ્લુરૂમાં પિકિનક
ગુજરાત કોંગ્રેના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આની કઠણ શબ્દોમાં નિંદા કરી છે. શનિવારે તેઓ ડીસામાં એપીએમસીની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે સરકારને પૂર અસરગ્રસ્તોની મદદ માટે સરકારને રૂ.500 કરોડની સહાય કરવાની વિનંતી કરી હતી. સાથે જ કોંગ્રેસ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે નૈતિકતા ગુમાવી છે, ધારાસભ્યો પૂર પીડીતોની સેવા કરવાની જગ્યાએ બેંગ્લુરૂમાં પિકનિક કરી રહ્યાં છે.
કોંગ્રેસ પોતાના MLA પર વિશ્વાસ રાખે
શંકરસિંહ વાઘેલાએ આગળ કહ્યું હતું કે, આવા કપરા સમયે કોંગ્રેસના ધારાસભ્યો ભાગી જાય તે બરાબર નથી. તેમણે તો અહીં રહી લોકોની મદદ કરવી જોઇએ. કોંગ્રેસ પક્ષે પણ પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ રાખવો જોઇએ. માત્ર રાજ્યસભાની ચૂંટણી માટે ધારાસભ્યોને લક્ઝુરિયસ હોટલમાં રાખવા યોગ્ય નથી. નોંધનીય છે કે, 6 ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, ભાજપ દ્વારા તેમના ધારાસભ્યોને પોલીસની બીક અને 10 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. આ જ કારણે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સેફ સ્થળે એટલે કે કર્ણાટકના પ્રસિદ્ધ રિસોર્ટમાં ખસેડ્યા છે.
CM વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ માટે કોંગ્રેસની નિંદા કરતાં ટ્વીટ કર્યાં હતા અને કહ્યું હતું કે, આ પૂરની પરિસ્થિતિમાં આપણું લક્ષ્ય ગુજરાતના લોકોની મદદ કરવાનું અને તેમનો સાથ-સહકાર આપવાનું હોવું જોઇએ. બદનસીબીથી, આપણા કોંગ્રેસના મિત્રો લોકોના દુઃખ પ્રત્યે લાગણીહીન થઇ કર્ણાટકના રિસોર્ટમાં આરામ ફરમાવી રહ્યાં છે. મીડિયા સાથેની વાતચીતમાં પણ તેમણે કહ્યું હતું કે, સોનિયા ગાંધીના પુત્રપ્રેમે કોંગ્રેસને ડુબાડ્યું છે. જનતા બધાનો હિસાબ કરશે. રિસોર્ટમાં ગયેલ કોઇ જીતવાનું નથી.
નીતિન પેટલ અને જીતુ વાઘાણી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પેટેલ આ અંગે કહ્યું કે, પૂર જેવી પરિસ્થિતિમાં કોંગ્રેસ લોકોની મદદે ન આવ્યું અને ધારાસભ્યો બેંગ્લોર જતા રહ્યાં. કોંગ્રેસ માટે આ વિપરિત પરિસ્થિતિ છે. ભાજપના જીતુ વાઘાણીએ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ હવે કયા મોઢે કાર્યકરો પાસે જશે?