ગુજરાતમાં કૉંગ્રેસની શેડો સરકારઃ વિપક્ષે લોક સરકારના મુખ્યમંત્રીની કરી નિમણૂંક
ગુજરાત કૉંગ્રેસે પોતાનો જનસંપર્ક વધારે મજબુત બનાવવા માટે શેડો સરકારની રચના કરી છે. એટલે કે, સરકારને સમાંતર લોક સરકારની રચના કરવામાં આવી છે.
ગુજરાત કૉંગ્રેસે પોતાનો જનસંપર્ક વધારે મજબુત બનાવવા માટે શેડો સરકારની રચના કરી છે. એટલે કે, સરકારને સમાંતર લોક સરકારની રચના કરવામાં આવી છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ લોક સરકાર રચવાની જાહેરાત કરી છે. આ અંગે પરેશ ધાનાણીએ જણાવ્યું હતુ કે, ભાજપ સરકાર જનતાની સતત ઉપેક્ષા કરી રહી છે ત્યારે, તેમની સમસ્યા હલ કરવા અને લોકોના પ્રશ્નો સાંભળવા આ લોક સરકારનો મુખ્ય ઉદેશ્ય રહેશે. લોક સરકાર લોકશાહી પરંપરાને વધુ મજબુત બનાવી સમાજને સશક્ત બનાવવાનો ધ્યેય છે. જેમાં લોક સરકારના માધ્યમથી રાજ્યની આંધળી અને બહેરી સરકાર પોતાની નિંદ્રામાંથી નહીં જાગે તો સરકાર વિરુદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે. આ લોક સરકાર દ્વારા રાજ્યના ઇન્ચાર્જ અને કો-ઇન્ચાર્જની નિમણૂંક પણ કરવામાં આવી છે.
વિપક્ષના નેતા પરેશ ધાનાણી લોક સરકારના મુખ્યમંત્રી બન્યા
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ લોક સરકાર અંગે જણાવ્યું હતું કે, લોક સરકાર એટલે સરકારી યોજના પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સરળતાથી લોકો સુધી પહોંચાડવાનો છે. ગુજરાતમાં ભાજપના ૨૩ વર્ષના શાસનમાં પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. સામાન્ય લોકો પાસે સરકારના અલગ-અલગ વિભાગાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. સરકાર પ્રજાના પ્રશ્નો બાબતે અસંવેદનશીલ બની જવા સાથે પ્રજાનો અવાજ દબાવાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોની રજૂઆતોને સરકાર સુધી વિરોધ પક્ષના નેતા 'લોક સરકાર'ની વેબસાઇટના માધ્યમથી પહોંચાડશે. આ માટે રાજ્યમાં વોલન્ટિયર્સ અને ઇન્ચાર્જના સહયોગ અને સંકલનથી લોકો સુધી પહોચવામાં આવશે.
લોક સરકાર સમક્ષ લોકો કરશે રજુઆત
કૉંગ્રેસ દ્વારા આ માટે લોકસરકાર ડોટ ઇન વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે. જે લોક સરકાર વેબસાઈટમાં તમામ વિભાગોની અને અધિકારીઓ તેમજ પદાધિકારીઓની લોકોની ફરિયાદ તેમજ રજૂઆત સ્વીકારવામાં આવશે. ઓનલાઇન સંપર્ક કરવામાં આવશે તેમજ લોકો કેન્દ્ર, રાજ્ય, જીલ્લા અને તાલુકા કક્ષાની ફરિયાદ કે રજૂઆત ફરિયાદ વિભાગમાં કરી શકશે. તેમની ફરિયાદ રજિસ્ટ્રર થશે અને તેને ભવિષ્યમાં ટ્રેકિંગ પણ કરી શકાશે. તેમની કાર્યવાહી કે પ્રક્રિયા કેટલે પહોંચી તેની માહિતી પણ મેળવી શકાશે. અરજદાર કે ફરિયાદીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ પર તેની જાણકારી પણ આપવામાં આવશે. લોકસેવક નોંધણી, પ્રચાર સમિતિ નોંધણી, મીડિયા નોંધણી, RTI નોંધણી, NGO નોંધણી, રીસર્ચ ટીમ નોંધણી તેમજ વ્યવસાયિક કૌશલ્ય ધરાવતા લોકોની નોંધણી કરવામાં આવશે.
લોકોને ઉપયોગી થવાનો સકારાત્મક પ્રયાસ
આ ઉપરાંત લોક સરકારમાં લોકોને સરકારી અને જીવન ઉપયોગી વિભાગોની તમામ માહિતી પણ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ શકશે. જેમાં એસ.ટી, ટીકીટ, રેલ્વે ટીકીટ, એર લાઈન, હોટલ, ટેક્સી અને સિનેમા બુકિંગ સહીત રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવી તમામ રોજબરોજની જરૂરિયાતની ઉપયોગી તમામ માહિતી એક જ સ્થળેથી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
લોકોની સમસ્યાને મીડિયા દ્વારા વાચા મળશે
લોક સરકારમાં થતી રોજબરોજની કામગીરી, મળતી ફરિયાદો અને તેના નિકાલની માહિતી રજીસ્ટર કરવામાં આવેલા રાષ્ટ્રીય, રાજય, જીલ્લા અને ઝોનલ મીડિયા સુધી પહોંચી શકે તે માટે મીડિયા બુલેટીન પણ બહાર પાડવામાં આવશે. આ સાથે લોકો પોતાની સમસ્યા રજુ કરી જે તે સમસ્યા આધારિત સર્વેથી લોકોનો અભિપ્રાય પણ જાણી શકાશે. આ ઉપરાંત લોકો સમસ્યાની પીટીશન પણ મૂકી શકશે. જયારે લોક સરકારની સમગ્ર પ્રક્રિયા અંગે લોકો અભિપ્રાય સહીત પદ્ધતિમાં સુધારા અને જરૂરી સૂચનો પણ આપી શકશે.
લોક સરકારનું મંત્રીમંડળ પણ રચાશે
લોક સરકારમાં આગામી તબક્કામાં લોક સરકાર મંત્રી મંડળની પણ રચના કરવામાં આવશે. જેમાં ચૂંટાયેલા કૉંગ્રેસના ધારાસભ્યોને વિવિધ વિભાગોની જવાબદારી સોપવામાં આવશે. જેઓ તે વિભાગમાં થતાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ પર નજર રાખી સરકારને ભિંસમાં લેવાની કામગીરી પણ કરશે. લોક સરકારના મંત્રીમંડળમાં તમામ સમસ્યાઓની સમયાંતરે સમીક્ષા સાથે બાકી રહેલી લોક સમસ્યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઉભું કરી લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે. કૉંગ્રેસ એક રીતે, વિપક્ષની ભૂમિકાથી પર હવે રચનાત્મક કામગીરી કરી લોકાભિમુખ થવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે, કૉંગ્રેસની આ સકારાત્મક પહેલ ભાજપ સરકારને પ્રજાભિમુખ કરવા મજબૂર કરનારી બની શકે છે.