ગુજરાતમાં દૂર-દૂર સુધી ક્યાંય કોંગ્રેસ નથી, આપ અને ભાજપ વચ્ચે લડાઈઃ સંજય સિંહે સાધ્યુ નિશાન
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખનુ એલાન થઈ ચૂક્યુ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયુ છે.
નવી દિલ્લીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખનુ એલાન થઈ ચૂક્યુ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયુ છે. દરેક પક્ષ પોતપતાના દાવ રમી રહ્યા છે. આમ આદમી પાર્ટી દિલ્લી અને પંજાબ પછી હવે ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવામાં લાગી છે. પાર્ટીના બધા વરિષ્ઠ નેતા ગુજરાતના અલગ-અલગ શહેરોમાં લોકો વચ્ચે જઈ રહ્યા છે અને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે.
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ હાલમાં જ અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનો કોઈ મુકાબલો નથી. ગુજરાતમાં કોંગ્રેસે મેદાન છોડી દીધુ છે. સંજય સિંહે વધુમાં કહ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને જીતાડવા માટે કામ કરી રહી છે. કોંગ્રેસનો દરેક કાર્યકર આમ આદમી પાર્ટીને જીતાડવા માટે કામ કરી રહ્યો છે. કોંગ્રેસ પર નિશાન સાધીને સંજયસિંહે કહ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. અહીં સીધો મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે.
તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવીને ગુજરાતમાં સરકાર બનાવવાનો પૂરેપૂરો દાવો કરી રહી છે. સંજય સિંહ પહેલા પાર્ટીના કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે આ વખતે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી પાસેથી ઘણી આશાઓ છે, પાર્ટી ગુજરાતમાં સતત આગળ વધી રહી છે અને આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 3 નવેમ્બરે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કા માટે 1લી ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કા માટે 5મી ડિસેમ્બરે મતદાન થશે. આ સાથે જ પ્રથમ તબક્કા માટે 5 નવેમ્બરે જાહેરનામુ બહાર પાડવામાં આવશે અને બીજા તબક્કા માટે 10 નવેમ્બરે જાહેરનામુ બહાર પાડવામાં આવશે.