એક નેતા એક હોદ્દોઃ કૉંગ્રેસનો નવો નિર્ણય કેટલો સાર્થક થશે ?
ગુજરાત કૉંગ્રેસ હવે સક્રિય થઇને રાજ્યમાં ભાજપને મ્હાત આપવાનો પ્રયાસ કરે છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત પ્રદેશ માળખામાં આમૂલ પરીવર્તન પણ આવ્યું છે.
ગુજરાત કૉંગ્રેસ હવે સક્રિય થઇને રાજ્યમાં ભાજપને મ્હાત આપવાનો પ્રયાસ કરે છે. છેલ્લા કેટલાક સમયમાં ગુજરાત પ્રદેશ માળખામાં આમૂલ પરીવર્તન પણ આવ્યું છે. ખાસ કરીને પ્રદેશની ટોચની નેતાગીરી પણ બદલાઈ ચુકી છે. પ્રદેશના માળખામાં ખાસ કરીને યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય પણ મળ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા પદે પરેશ ધાનાણીની વરણી હોય કે, પછી પ્રદેશ અધ્યક્ષ પદે અમિત ચાવડાની નિયુક્તિ હોય. દરેક માળખામાં યુવાનોને અગ્ર સ્થાન આપવામાં આવ્યું છે.
ધારાસભ્યો પક્ષમાં હોદ્દો ધરાવશે નહી
ત્યારે, હવે કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ધારાસભ્યો માટે એક નિર્ણય કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો પક્ષનો કોઈ હોદ્દો ધરાવતાં હશે તો તેમણે તે હોદ્દો છોડવો પડશે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ નીતિ વિષયક નિર્ણય લીધો છે. જે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હોય તેમણે પ્રજા લક્ષી કામ કરવા માટે સમય આપે તે આવશ્યક છે. પ્રજાના કામોને ધ્યાન આપવા અત્યંત જરૂરી છે. ઉપરાંત, જે બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ શક્યા નથી તે બેઠક પર નજીકની બેઠકના ધારાસભ્ય ધ્યાન આપી તે વિસ્તારના પ્રશ્નો ઉકેલી શકે તે અત્યંત આવશ્યક છે. તેના કારણે ધારાસભ્યોને પક્ષના માળખામાં સ્થાન ન લેવા નિર્ણય કર્યો છે.
સંગઠનમાં નવા ચહેરાને સ્થાન મળી શકે
રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન સંભાળતાં હોય એવા હોદ્દેદારમાં સાથે ધારાસભ્ય પણ હશે તો તેમણે પક્ષના સંગઠનનો હોદ્દો છોડી દેવો પડશે. આ કારણે, સંગઠનમાં પણ અન્ય નેતાઓ અને અગ્રણીઓને સાંકળી શકાય. જેથી સંગઠનમાં પૂર્ણ સમય કામ કરી શકે તેવા યુવાનોને પણ સ્થાન આપી શકાય અને તે પક્ષ માટે કામ કરી શકે. આમ થતાં સંગઠન વધારે મજબૂત થશે. પરંતું, શું વાસ્તવિક રીતે તેનું તેનો અમલ કરી શકશે કે કેમ તે પણ યક્ષ પ્રશ્ન છે.
ધારાસભ્યો પ્રજાલક્ષી પ્રશ્નોમાં ધ્યાન આપી શકશે
ગુજરાતમાં કોંગ્રેસના 77 ધારાસભ્યોમાંથી 32 ધારાસભ્યો પક્ષમાં પણ હોદ્દેદાર છે. પક્ષ જ્યારે રચનાત્મક ભૂમિકામાં આગળ વધી રહ્યો છે ત્યારે, પક્ષના હોદ્દેદારો પક્ષને મજબુત બનાવવા કામે લાગેલા છે. તેના કારણે, તે પ્રજાલક્ષી પ્રશ્નોમાં પુરતું ધ્યાન આપી શકે તે માટે પ્રદેશ કૉંગ્રેસ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતું, તે માટે જનતાના ચૂંટાયેલા ધારાસભ્યો પક્ષના અન્ય નેતાઓને સ્થાન આપવા આ હોદ્દા ખાલી કરશે કે કેમ તે જોવું રહ્યું. તેઓ પ્રજાકીય પ્રશ્નોમાં વધારે ધ્યાન આપી શકે તે માટે પક્ષના હોદ્દા કરતાં જનતાના પ્રતિનિધિત્વને વધુ પ્રાધાન્ય આપે તે માટે આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
એક નેતા, એક હોદ્દો પ્રદેશ કૉંગ્રેસનો નિર્ણય
જોકે, ગુજરાત કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા પોતે આંકલાવ બેઠક પરથી ધારાસભ્ય છે. પણ તેમના માટે આ નિર્ણય અપવાદ ગણવામાં આવશે. બીજા તમામ કૉંગ્રેસના ધારાસભ્યો હવે સંગઠનમાં રહેશે નહીં. કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પોતે વિધાનસભામાં હોવાથી પ્રજાના પ્રશ્નો સારી રીતે રજૂ કરી શકશે. ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સંકલન કરીને પક્ષ માટે વ્યૂહરચના ગોઠવી શકશે. ગમે તેમ પણ હોદ્દા છોડવા કોઈ ધારાસભ્યોને ગમશે નહીં પણ તેમણે બીજા માટે સ્થાન ખાલી કરી આપવું પડશે. કૉંગ્રેસ એક નેતા, એક હોદ્દો આ નિર્ણય કેટલો સફળ બનાવી શકશે તેમજ નવા નેતાઓ માટે ધારાસભ્યો કેટલા સકારાત્મક બનશે તે જોવું રહ્યું.