Excl : પડખે નહિં, છતાં પીઠબળનો કલંક વહોર્યો
અદમવાદા, 30 નવેમ્બર : ગુજરાત કોંગ્રેસની હાલત કફોડી થઈ પડી છે. કોંગ્રેસે આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને મણિનગર વિધાનસભા મત વિસ્તારમાંથી ટિકિટ આપી જાણે મોટું તીર માર્યુ હોય, તેમ છાતી ફુલાવતી હતી, પરંતુ આવા પગલાએ તેને પોતાને કઠેડે લાવી મુકી છે.
કોંગ્રેસે શુક્રવારે ઉમેદવારી પત્રો ભરવાનાં છેલ્લા દિવસે અચાનક શ્વેતા ભટ્ટને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ઊભા રાખવાની જાહેરાત કરી દીધી. આવો નિર્ણય કરી કોંગ્રેસ ચોક્કસ રીતે પહેલા હરખાઈ હશે કે તેણે મોદી સામે એવા ઉમેદવાર ઉતાર્યાં છે કે જેમના પતિ મોદી સરકારના કથિત અન્યાયનો ભોગ બન્યા છે. કોંગ્રેસે વિચાર્યુ હશે કે મોદી સામે તેણે મોટો ઉમેદવાર ઉતારી દીધાં છે, પરંતુ કોંગ્રેસ પોતે પણ જાણે છે કે શ્વેતા ભટ્ટ મોદી સામે ચાલી શકશે નહિં. કોંગ્રેસે આવુ પગલું તો ભર્યુ હતું મણિનગરની સીટ દ્વારા સંજીવ ભટ્ટ સાથે થયેલ અન્યાયનો લાભ રાજ્યવ્યાપી રીતે લેવા, પરંતુ કોંગ્રેસ આ મુદ્દે ઊંઘતી ઝડપાઈ ગઈ હોય તેવું લાગે છે.
હકીકતમાં કોંગ્રેસે જ્યારે શ્વેતા ભટ્ટને મણિનરથી ટિકિટ આપી, તો રાજકીય શેરીઓમાં અને પ્રજા વચ્ચે સૌપ્રથમ સીધો જ સંદેશ એ પહોંચ્યો કે કોંગ્રેસ શરુઆતથી સંજીવ ભટ્ટનો ઉપયોગ મોદી વિરુદ્ધ કરી રહી હતી. ભાજપે આરોપ લગાવી દીધો કે શ્વેતા ભટ્ટને ટિકિટ આપી કોંગ્રેસે સાબિત કરી આપ્યું કે અત્યાર સુધી સંજીવ ભટ્ટને કોંગ્રેસ પીઠબળ આપી રહી હતી. ભાજપે કોંગ્રેસને સંજીવ ભટ્ટની એજેંટ સુદ્ધા ગણાવી દીધી.
બીજી બાજું સંજીવ ભટ્ટ અને તેમના સંઘર્ષની પૃષ્ઠભૂમિએ જઇએ, તો ક્યારેય કોંગ્રેસે સંજીવ ભટ્ટના કેસમાં ખુલીને તેમનો સાથ આપ્યો નથી. કોંગ્રેસ પાસે ગુજરાતમાં મોદી વિરુદ્ધ મુદ્દાઓ તો ઘણાં હતાં, પરંતુ કોંગ્રેસ એક પણ મુદ્દાને પોતીકો ન કરી શકી. સંજીવ ભટ્ટની ધરપકડથી લઈ છુટકારા સુધી અને એ સિવાયના એમની સાથે જોડાયેલા મુદ્દાઓમાં પણ કોંગ્રેસ ક્યારેય એમની પડખે ઊભેલી દેખાઈ નથી. માત્ર રાજકીય લાભ ખાટવા કોંગ્રેસે શ્વેતા ભટ્ટને ટિકિટ આપી અને આ સાથે જ સંજીવ ભટ્ટને પડખે નહિં રહેનાર કોંગ્રેસે તેમને પીઠબળ આપવાનો કલંક વહોરવો પડ્યો છે. એટલું જ નહિં કોંગ્રેસે એ આરોપ પણ વહોરવો પડ્યો છે કે વિકાસ અને પ્રજા સાથે જોડાયેલ મુદ્દાઓ ઉપરથી લોકોનું ધ્યાન હટાવવા અને સંજીવ ભટ્ટના ઓછાયા હેઠળ ફરી પાછું ગોધરાનું ભુત ધુણતું કરવા કોંગ્રેસે શ્વેતા ભટ્ટને ટિકિટ આપી છે.