નોટબંધીથી સર્જાયેલ આર્થિક કટોકટીના નામે કોંગ્રેસે રાજ્યભરમાં દેખાવો કર્યો
નોટબંધીથીને મુદ્દો બનાવી કોંગ્રેસે રાજ્યભરમાં દેખાવો કર્યો
નોટબંધીના અવિચારી પગલાંના કારણે દેશમાં કટોકટીના હાલત પેદા થઇ હોવાના આક્ષેપ સાથે ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ધરણાંના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ગુજરાત કૉંગ્રેસે અમદાવાદ રીઝર્વ બેંક પાસે પણ દેખાવો કરીને વિરોધ દર્શાવ્યો હતો. કૉંગ્રેસ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ અને 8 મહાનગરોમાં નોટબંધીના બે વર્ષ પુર્ણ થયાને અનુલક્ષીને દેખાવ યોજ્યા હતા. આ કાર્યક્રમમાં કૉંગ્રેસે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારની અવિચારી નીતિઓની આકરી આલોચના કરી હતી.
8 નવેમ્બર 2016ના રોજ કરી હતી નોટબંધી
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે અવિચારીપણે નોટબંધી કરીને દેશમાં કટોકટી લાગુ કરી હતી. નરેન્દ્ર મોદી સરકારના અવિચારી પગલાંના કારણે દેશભરમાં આર્થિક સંકડામણ ઉભી થઇ હતી. આ આર્થિક સંકડામણમાંથી દેશ હજું બહાર આવ્યો નથી. નોટબંધીના કારણે દેશના ચલણમાં રહેલી 99.30 ટકા નોટ રિઝર્વ બેંકમાં પરત આવી ગઇ હતી. ત્યારે, જે કાળા નાણાં માટે નોટબંધી કરવામાં આવી હતી તે નાણાં ક્યાં છે.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ની રાતે દેશના ચલણમાં રહેલી 15.44 લાખ કરોડ નોટને દેશના ચલણમાંથી રદ્દ કરવાનો નિર્ણય કરીને દેશને અવિચારી આંચકો આપ્યો હતો. આતંકવાદને નાથવા, કાળાં નાણાંને રદ્દ કરવા અને બજાર વપરાશમાં રહેલી નકલી નોટો રદ્દ કરવા તેમજ નક્સલવાદને નાથવાનો ઇરાદો રાખીને નોટબંધી કરવામાં આવી હતી. પરંતું, આ તમામમાંથી કોઇ સૂચકાંકમાં સરકાર સફળ રહી નથી.
કૉંગ્રેસના રીઝર્વ બેંક સામે દેખાવો
કૉંગ્રેસ નોટબંધીને નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા નિષ્ફળ નિર્ણય તરીકે ઉજાગર કરવા પ્રયાસ કરી રહી છે.. ત્યારે, ભાજપે ગત વર્ષે 8 નવેમ્બરને કાળા નાણાં મુક્તિ દિવસ તરીકે મનાવીને દેશમાં કાળા નાણાંનો નાશ થઇ ગયો હોવાનો દેખાવ કર્યો. તો, કૉંગ્રેસ રીઝર્વ બેંકની સામે દેખાવો કરીને નોટબંધીના નિર્ણયની બીજી વરસીને કાળા દિવસ તરીકે મનાવી હતી. દેશના અર્થતંત્રની કરોડરજ્જૂ તોડનારો નિર્ણય હોવાનું જણાવ્યું હતું. કૉંગ્રેસે ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં દેશના યુવાનોને દર વર્ષે બે કરોડ રોડગાર આપવાના વાયદા કર્યા હતા. આ વાયદા પ્રમાણે કેટલા લોકોને રોજગારી આપવામાં આવી છે ?
રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોમાં ધરણાં પ્રદર્શન
કૉંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર અને મહાનગરો અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત સહિત તમામ શહેરોમાં દેખાવો અને પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસના આ દેખાવોમાં ચોકીદાર હી ચોર હૈ અને ભાજપની વોટબંધીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બેનરો અને પોસ્ટરો દ્વારા દેખાવો કરાયા હતા.
નોટબંધીના અસલી લાભાર્થી કોણ?
નોટબંધીના કારણે દેશના અર્થતંત્રની કળ વળી નથી. હજુ પણ ઘણા ધંધા રોજગાર પુર્ણ રીતે પુર્વવત્ થઇ શક્યા નથી. ત્યારે, કૉંગ્રેસ પક્ષ ફક્ત ધરણાં અને ભાષણો કે શોસિયલ મીડિયા પુરતો વિરોધ કરીને કેમ શાંત રહી જાય છે. સરકારના આ પગલાંના કારણે અનેક લોકોના જીવ ગયા છે. આ નિર્દોષ મોત પાછળ કોણ જવાબદાર ? નોટબંધીના અસલી લાભાર્થી કે ભાગીદાર કોણ છે, ક્યારે ખુલ્લા પાડવામાં આવશે ?