ગાંધીનગર, 9 એપ્રિલ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014 અંતર્ગત લોકસભાની 26 બેઠકો પર 30 એપ્રિલે મતદાન યોજાવાનું હોવાને પગલે કોંગ્રેસે પોતાની સ્ટાર પ્રચારકોની ટીમ ગુજરાતમાં ઉતારવાનું નક્કી કર્યું છે. પ્રચારકો 15 એપ્રિલ બાદ ગુજરાતમાં ચૂંટણી સભાઓ ગજવશે.
ગુજરાતમાં કોંગ્રેસના જે સ્ટાર પ્રચારકો આવવાના છે તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી ચિદંબરમ, સચિન પાઇલોટ, જયોતિરાદિત્યસિંહ સિંઘિયા, અઝહરૂદ્દીન, મુકુલ વાસનિક, અભિને્ત્રી નગ્મા, અભિનેતા ગોવિંદા વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રચારકો ચૂંટણી સભાઓ સંબોધવા ઉપરાંત રેલી, રોડ શો અને પત્રકાર પરિષદ પણ યોજશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં બે સભાને સંબોધશે. જયારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં એક એક રોડ શો યોજીને પ્રચાર કરશે.
કોંગ્રેસે ગુજરાતની જે બેઠકો પર ભાજપનું વર્ચસ્વ છે અને કોંગ્રેસનો નબળો ઉમેદવાર છે તેવી બેઠકને નજરમાં રાખીને આ વિસ્તારમાં કોંગ્રેસ અધ્યક્ષા અને ઉપાધ્યક્ષની રેલીનું આયોજન કરવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યપ્રધાનો પણ ગુજરાતમાં પ્રચાર માટે આવશે. જો કે આ નેતાઓ પોતાના રાજયોમાં ચૂંટણી પ્રક્રિયા પુરી થયા પછી જ ગુજરાત આવશે.
રાજસ્થાનના પુર્વ મુખ્યપ્રધાન અને ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત અમદાવાદ સહિત જયાં જયાં રાજસ્થાની સમાજની વસતી છે તેવા વિસ્તારોમાં બેઠક યોજીને કોંગ્રેસનો પ્રચાર કરશે.