કે જે ગરીબ હોય છે તેની દશા સારી નથી હોતી...
ડભોઇ, 2 એપ્રિલઃ 'ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે જે ગરીબ હોય છે તેની દશા સારી નથી હોતી...' આ પંક્તિ એ સમયે સાચી ઠરી જ્યારે ડભોઇમાં એક નિસહાય પરિવાર પોતાના ઘરના એકમાત્ર કમાતા યુવાનની અર્થી એક લારી પર કાઢીને લઇ જઇ રહ્યો હતો, ગરીબીની દારુણ પરિસ્થિતિમાં જીવી રહેલા આ પરિવારને મદદ તો ઠીક દિલાસાના બે બોલ કહેવા માટે કોઇ એમની આસપાસ ફરક્યું નહોતું.
ગરીબ માત્ર ને માત્ર નસીબને દોષ આપે છે. ડભોઇ મોરવાલા જીન ઝુપડપટ્ટીમાં રહેતો યુવાનની પત્ની દોઢ વર્ષ પહેલા પુત્રીને જન્મ આપ્યા બાદ મરણ પામી માસુમ પુત્રી અને વૃદ્ધ માતા સાથે રહી કચરો-ભંગાર વીણીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો યુવાન કમળાની બિમારીમાં મૃત્યું પામતા તેના અંતિમ સંસ્કાર કરવા આજુબાજુના રહીશો કોઇ મદદે નહોતું આવ્યું. અર્થીને કાંધ આપવા પણ કોઇ નહીં આવતા બે બહેનો સહિત માતાએ હિંમતભેર ચાર પૈડાવાળી હાથ-લારીમાં પુત્રનો મૃતદેહ મુકી, લારીને ધક્કો મારીને સ્મશાન સુધી લઇ ગયા હતા. મેઇનરોડ પર જ્યારે આ સ્મશાનયાત્રા નિકળી ત્યારે હૃદય દ્વાવક દ્રશ્યો સર્જાયા હતા.
35 વર્ષિય મુકેશભાઇ મગનભાઇ વાઘરીને થોડા દિવસ પહેલા ઝેરી કમળાની અસર થઇ હતી. કમળાની અસર વધુ પ્રસરતાં કમળામાંથી કમળી થઇ જતાં ગતરાત્રીના સમયે તેનું મોત નીપજ્યું હતું. માતા સવિતાબેને પોતાની બન્ને દિકરીઓને આ અંગે જાણ કરી હતી. જોકે, અંતિમ સંસ્કાર માટેની તૈયારી કરનાર કોઇ પણ માનવતાવાદી ફરક્યું નહીં. પોતાના પુત્રના અંતિમ સંસ્કાર માટે તેને કાંધ આપવા પણ કોઇ નહીં આવતા માતા-પુત્રીઓએ યુવાનના મૃતદેહને લારીમાં ગોઠવીને સ્મશાનયાત્રા કાઢી હતી. જો કે, સ્મશાનગૃહે એક વ્યક્તિએ માનવતાની મહેક મહેકાવી અંતિમ સંસ્કાર માટેની સામગ્રી પૂરી પાડી હતી.(તસવીરો-હસન ખત્રી,ડભોઇ)
ગરીબ યુવાનની અંતિમ યાત્રા
ગરીબ યુવાનની અંતિમ યાત્રા