ભાનુભાઇના પરિવારની માંગણી સરકારે સ્વીકારી, બનાસકાંઠા બંધનું એલાન
પાટણમાં ભાનુભાઇના નિધન બાદ સરકારે દલિત પરિવારની તમામ માંગણી સ્વીકારી છે. તો બીજી તરફ આ અંગે બનાસકાંઠામાં સોમવારે બંધની વાત દલિત સમાજે કરી છે. જાણો આ સમાચાર અંગે વધુ અહીં.
પાટણના જિલ્લા ક્લેટરની ઓફિસ આગળ આગ ચાંપી આત્મદાહ કર્યા પછી ભાનુભાઇના પરિવારે તેમનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જો કે તે પછી સરકારે પરિવારની તમામ માંગણીઓ સ્વીકારી લીધી છે. વધુમાં અગ્ર સચિવ અને ગાંધીનગર કલેકટર પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં લેખિતમાં ખાતરી આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યાં એક બાજુ રૂપાણી સરકાર આ દલિત મામલાને બને તેટલી જલ્દી પતાવવા માંગે છે ત્યાં જ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી જેવા નેતા પણ આ મામલે સિવિલ હોસ્પિટલ પહોંચતા ગુજરાતનું રાજકારણ દલિત મુદ્દાને લઇને ગરમાયું છે. વધુમાં ઉંઝા, પાટણ, પાલનપુર, મહેસાણા ખાતે આ વાતનો લોકો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને દલિગ સંગઠનો દ્વારા આ વિસ્તારમાં ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે સામાન્ય લોકોની મુશ્કેલી વધી છે.
જો કે બીજી તરફ બનાસકાંઠામાં દલિત સંગઠન દ્વારા બનાસકાંઠા બંધની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે પાટણમાં ભાનુભાઇના આત્મવિલોપનના પગલે બંધનું એલાન કરવામાં આવ્યું છે. મહેસાણામાં પણ રાધનપુર ચોકડી પર દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. ઉંઝા ખાતે પણ સવારે જ રસ્તા પર દલિત મહિલાઓ દ્વારા છાજિયા કુટિ આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં જીજ્ઞેશ મેવાણીએ ભાનુભાઇના નિધન પછી ટ્વિટ કરીને કહ્યું હતું કે "ભાનુભાઈ વણકર આપણી વચ્ચે રહ્યા નથી. દલિત વિરોધી ભાજપ સરકારે આ સંનિષ્ઠ આંબેડકરવાદી કર્મશીલનો ભોગ લીધો.
આપણે સૌ અત્યંત વ્યથિત અને આક્રોશીત છીએ, તેમના પરિવારના સભ્યો જે કોલ આપે તે મુજબ કોલને ઝીલી લઇ ન્યાયની આ લડાઈ ને તેના આખરી અંજામ સુધી લઈ જવા પ્રયત્નશીલ બનીશું" તો બીજી તરફ હાર્દિક પટેલે પણ પરિવારને ન્યાય અપવવા માટે સાથ આપવાની વાત કરી છે. નોંધનીય છે કે જે રીતે આ મામલે હાલ ઠેર ઠેર વિરોધ અને ચક્કાજામ થઇ રહ્યા છે તેના પગલે તંત્ર દોડતું થયું છે. અને જો આ પ્રશ્ન જલ્દી જ હલ કરવામાં ના આવ્યો તો આવનારા સમયમાં તે ચોક્કસથી રૂપાણી સરકાર માટે માથાનો દુખાવો બનવાનો છે. જો કે જે રીતે હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશ જેવા નેતાઓના નિવેદન આવી રહ્યા છે. તે જોતા આ મુદ્દો આવનારા સમયમાં વધુ વિકરાય બને તેવી સંભાવનાઓ વધુ છે.