રાજ્ય સરકારે ધાર્યું હોત તો ભાનુભાઈ વણકર ના આત્મવિલોપન ને રોકી શકાય તેમ હતું
રાજ્ય સરકારની બેદરકારી બહાર આવી, સરકારે ધાર્યુ હોત તો ભાનુભાઇ વણકરના આત્મવિલોપનની ઘટનાને રોકી શકાય તેમ હતી.
રાજ્ય સરકારની બેદરકારી બહાર આવી, સરકારે ધાર્યુ હોત તો ભાનુભાઇ વણકરના આત્મવિલોપનની ઘટનાને રોકી શકાય તેમ હતી. માત્ર ગુજરાત રાજ્યમાં જ નહી પણ સમગ્ર ભારતમાં ચકચાર જગાવનાર પાટણ આત્મવિલોપનની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. જેમાં વિધાનસભામાં નિયમ 116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબતો હેઠળ ધારાસભ્ય કીરીટકુમાર પટેલ, શૈલેષ પરમાર, ચંદનજી ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ પ્રશ્ન કર્યો હતો કે તાજેતરમાં પાટણ જિલ્લામાં સમી તાલુકાના દુદખા ગામના દલિત પરિવારની જમીનની માંગણી સંદર્ભમાં કલેકટર કચેરી સામે ભાનુભાઇ વણકરના આત્મવિલોપન મામલે સરકારે શુ પગલા લીધા હતા અને તેમણે અગાઉ રજુઆત કરી હતી તે સમયે સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી છે કેમ.
અંગે મુખ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું છે કે પાટણ જિલ્લાના દુદખા ગામના અનુસુચિત જાતીના પરિવારની જમીન માટેની માંગણી ભાનુભાઇ વણકર (ઉ.વ.62) દ્વારા ફાઇવ કાસ્ટ યુથ ફેડરેશન ઉઝાના લેટર પેડ પર 18મી જાન્યુઆરી 2018ના રોજ મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું હતુ કે હેમાબેન વણકર અને રાજાભાઇ મકવાણાની અરજી સંબધમાં 31મી જાન્યુઆરી 2018 પહેલા ન્યાય નહિ મળે તો અરજદારો અને ઉંઝાના ભાનુભાઇ વણકર સહિત ત્રણ શખ્સો પાટણ કલેકટર કચેરીમાં જાહેરમાં અગ્નિસ્નાન કરશે.
આ બાબતને ગંભીરતાથી લઇને પાટણ જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી અને સમી પોલીસને આ બાબતે તાકીદ કરવામાં આવી હતી. ત્યારબાદ 7મી ફેબ્રૂઆરી 2018ના રોજ ફરીથી હેમાબેન વણકર દ્વારા અરજી કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયથી પડતર પ્રશ્ન અંગે કાર્યવાહી ન થતા અરજદાર હેમાબેન વણકર, રામાભાઇ માધાભાઇ અને ભાનુભાઇ વણકર 15મી ફેબ્રુઆરીએ પાટણ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરશે. આ બંને અરજીના સંદર્ભમાં રાજ્ય સરકારે દાવો કર્યો છે કે આ અરજીઓને ગંભીરતાથી લઇને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અરજદારોને રૂબરૂ મળીને સમજાવવાના હેતુસર 3જી ફેબ્રુઆરી, 9મી ફેબ્રુઆરી, 10મી ફેબ્રુઆરી, 11મી ફેબ્રુઆરી, 13મી ફેબ્રુઆરી અને 14મી ફેબ્રુઆરીએ પોલીસ દ્વારા અરજદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેઓ મળી ન આવતા દુદખા, ઉંઝા, ગાંધીધામ, શંખેશ્વર અને બાસ્પા ખાતે અરજદારોના સગાઓને ત્યાં પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ તમામના ફોન પણ બંધ આવતા હતા.
આમ, પોલીસે પાંચ વાર તેમનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હોવાનો દાવો રાજ્ય સરકાર કરી રહી છે. પણ, ભાનુભાઇના પરિવારજનોનું કહેવુ છે કે સરકારે આવો કોઇ પ્રયત્ન કર્યો જ નહોતો અને પોલીસે 15મી ફેબ્રુઆરીએ ધાર્યુ હોત તો પણ આ બનાવને રોકી શકી હોત. કારણ કે ભાનુભાઇ પણ ઇચ્છતા હતા કે સરકાર આ પ્રશ્ને નિવેડો લાવે.