દલિતો અને પાટીદારો વચ્ચેની ઝપાઝપીમાં દલિત યુવકનું મૃત્યુ
આણંદઃ ગરબા જોવાના મુદ્દે પાટીદારો અને દલિત યુવકો વચ્ચે થયેલ ઝપાઝપીમાં દલિત યુવકનું મોત
આણંદના બોરસદ તાલુકાના ભાદરણીયા ગામ ખાતે 8 પાટીદાર યુવકોએ દલિત યુવકને માર મારતા તેનું મૃત્યુ થયું હતું. શનિવારે રાત્રે બનેલ આ ઘટના બાદ દલિત સમાજ રોષે ભરાયો હતો અને રવિવારે સવારે તેમણે ભાદરણના પોલીસ મથક જઇ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગણી કરી હતી. ગરબા જોવાના મામલે થયેલ બોલાચાલીમાં આઠેક જેટલા પાટીદાર યુવકોએ દલિત યુવકને માર મારતા તેનું મૃત્યુ થયુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, દશેરાની રાત્રે 21 વર્ષીય જયેશ સોલંકી, તેનો પિત્રાઇ ભાઇ પ્રકાશ સોલંકી તથા કેટલાક મિત્રો ગામના મહાદેવ મંદિર પાસે થતા ગરબા જોવા ગયા હતા. ત્યારે સવારે લગભગ 4.30 જેવાએ સંજય ઉર્ફે ભીમો ઠાકોર પટેલ તેમની પાસે આવ્યો હતો અને તેમના ગરબા જોવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ભીમાએ તેમને જાતિવાચક શબ્દો કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ભીમો દૂર જઇ પોતાના અન્ય સાથીદારોને બોલીવી લાવતા બે જૂથ વચ્ચે ઝપાઝપી થઇ હતી. શિવ યુવક મંડળના લોકોને આ વાત ધ્યાનમાં આવતાં તેમણે બંને જૂથને છૂટા પાડ્યા હતા. આ દરમિયાન જયશે બેભાન થઇ ગયો હતો, જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે જયેશના પરિવાર દ્વારા એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.