પાટીદાર આંદોલન એ કોંગ્રેસનું ષડયંત્ર છે: નીતિન પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસએ દર્શાવેલ ગુજરાતના ખેડુતોની આર્થિક સ્થિતિ પર સ્પષ્ટતા કરતા નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. આ અંગે વધુ વાંચો અહીં.
શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે અહીં જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ખેડૂતો મામલે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ભાજપ દ્વારા કોંગ્રેસના આ જૂઠ્ઠાણા અને ખોટા આરોપોનો પર્દાફાશ કરવા માટે સાચા સરકારી આંકડાઓ અને તથ્યો સાથે એક પત્રિકા બહાર પાડવામાં આવી છે. જેથી ખેડૂતોને સાચી વાતની માહિતી મળી રહે. આ પત્રિકાઓનું વિતરણ ખેડૂતોને કરવામાં આવશે. આ પત્રિકામાં ટાંકવામાં આવેલ મુખ્ય મુદ્દાઓ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં વર્ષ 1994-95 સુધી કોંગ્રેસની સરકાર હતી, એ દરમિયાન ખેડૂતોની કુલ વાર્ષિક આવક 7 હજાર કરોડ રૂપિયા હતી. ત્યાર બાદ રાજ્યમાં ગુજરાતની સરકાર આવી અને આ વર્ષે રાજ્યના ખેડૂતોની કુલ આવક 1 લાખ 36 હજાર કરોડ છે.
કોંગ્રેસના આરોપ સામે વળતો પ્રહાર
નીતિન પટેલે આગળ કહ્યું કે, આજે સરકાર તરફથી આદિવાસી ખેડૂતોને ટપક સિંચાઇ પદ્ધતિ માટે 85 ટકા અને સીમાંત ખેડૂતોને 70 ટકા સબસીડી આપવામાં આવે છે. તેમણે આગળ કહ્યું હતું કે, રાજ્યમાં ટાંકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ગઇ કાલ સુધીમાં 116 કેન્દ્રો પર 298.72 કરોડની મગફળીની ખરીદી થઇ હતી. એ જ રીતે 33 કેન્દ્રો પર 43.41 કરોડ કપાસની ખરીદી થઇ છે. વિધાનસભાની ચૂંટણીના એંધાણ સાથે જ રાજ્યમાં વિવિધ નેતાઓ અને મંત્રી ઉપરાંત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતો પણ વધી પડી છે. પોતાની મુલાકાતો દરમિયાન તેઓ અનેક વાર દાવો કરી ચૂક્યાં છે કે, મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના અમુક નિર્ણયોને કારણે રાજ્યના ખેડૂતોને નુકસાન થયું છે. ભાજપ દ્વારા કોંગ્રેસના આ આરોપ સામે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે.
અનામતના મુદ્દે નીતિન પટેલનો જવાબ
અનામતના મુદ્દે સવાલ પૂછાતાં નીતિન પટેલે કહ્યું કે, પાસ અને કોંગ્રેસની બેઠક અંગે બંને પક્ષો ચૂપ છે. કોંગ્રેસ શા માટે કંઇ બોલતી નથી? પાસના કાર્યકર્તાઓએ કહ્યું કે, કોંગ્રેસે તેમને ત્રણ વિકલ્પો આપ્યા છે, પરંતુ શું વિકલ્પો આપ્યા એ અંગે કંઇ બોલતા કેમ નથી? બેઠકના બે દિવસ બાદ પણ બંને ચૂપ છે. તેમની આ 'તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ'ની નીતિ સવાલો ઊભા કરી રહી છે. કારણ કે અમારી પાસે તો મિનિટ ટુ મિનિટનો હિસાબ માંગવામાં આવતો હતો. મારી પાસે આ બેઠક અંગે જે ઉડતી ઉડતી વાતો આવી હતી, એ અનુસાર ઓબીસી અનામત યથાવત રાખી, આખું નવું માળખું ઊભું કરી પાટીદારોને 10 ટકા અનામત આપવાની વાત છે. સુપ્રીમ કોર્ટ અનુસાર 50 ટકાથી વધારે અનામત શક્ય નથી. સૌ જાણે જ છે કે, પાસની માંગણી હતી કે 49 ટકા અનામતમાં જ તેમનો સમાવેશ કરવામાં આવે. આ સમગ્ર ઘટનાક્રમ પરથી સ્પષ્ટ છે કે, પાસ અને કોંગ્રેસ ચૂંટણી સુધીનો સમય આમ જ કાઢી પટાદીર સમાજને ઉલ્લુ બનાવી તેમના મત લેવા માંગે છે. પાસના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસને લાભ કઇ રીતે થાય એની જ રમત રમી રહ્યાં છે. આંદોલન કરવા માટે પાટીદારોને પ્રેરણા આપવી, નાણાંકીય સહાય આપવી અને ચૂંટણી સમયે વિવાદ ઊભો કરવો એ પહેલેથી જ કોંગ્રેસનું ષડયંત્ર હતું અને આ બેઠકો પણ એ જ ષડયંત્રનો એક ભાગ છે.