ગુજરાતના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળશે
ગુજરાતના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળશે
પ્રાગ્ ઐતિહાસિક કાળનું મુખ્ય સ્થળ ધોળાવીરાને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. તાજેતરમાં જ પેરિસ ખાતે યોજાયેલ યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં કચ્છ જિલ્લામાં આવેલ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે, જેની જાહેરાત ટૂંક સમયમાં જ થશે. કચ્છના ભચાઉ તાલુકાના ધોળાવિરામાં હડપ્પન સંસ્કૃતિના નગરો મળી આવ્યાં હતાં.
હજારો વર્ષ જૂની હડપ્પા કાલીન સભ્યતાને પોતાના પેટાળમાં સંગ્રહીને બેઠેલા પૂર્વ કચ્છમાં આવેલ ભચાઉ તાલુકામાં ધોળાવીરા આવેલું છે. ભુજથી લગભગ 200 કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે, જેની પર ધોળાવીરા ગામ વસ્યું છે. કચ્છના કોઈ પણ સામાન્ય ગામ જેવું જ લાગતું આ ગામ એક અસામાન્ય ઇતિહાસ ધરાવે છે. ધોળાવીરામાંથી સિંધુ લિપિમાં કોતરેલા 10 જેટલા સિક્કા, સોના, ચાંદીના વાસણો વગેરે મળી આવ્યાં હતાં.
આ ઉપરાંત ધોળાવીરામાં ત્રણ ભાગો મળી આવ્યા હતા જે ત્રણેયમાં સુરક્ષા સંબંધી આયોજન નજરે પડે છે. જેમાં સૌથી ઉંચાઈ પરના ભાગ પર કિલ્લાઓ બાંધેલા છે, મધ્યમ ભાગ અને નીચા ભાગમાં નગરનો વસવાટ તથા આ વસવાટની સુરક્ષા માટે પણ કિલ્લાઓ બાંધેલા મળી આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે પાણીની સૌથી વધુ તકલીફ પડતી હોય તેવા કચ્છ જિલ્લામાં આવેલ ધોળાવીરામાં પાણીનું એકત્રિકરણ કરવાની વિશેષ સુવિધાઓ હતી.