ધોરાજીના કોંગ્રેસી નેતા લલિત વસોયાએ વાયદો કરી બાજી જીતી?
ગજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ધોરાજીના કોંગ્રેસ ઉમેદવારે આ વાયદા કરીને મતદાતાઓને લચાવ્યા.
ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો મતદારોના મતોને અંકે કરવા માટે વિવિધ વાયદાઓ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે કોગ્રેસના ધોરાજીના ઉમેદવાર અને પાસના આગેવાન લલિત વસોયાએ આજે એક સોંગધનામુ વાયરલ કરીને મતદારોને કેટલાંક મહત્વના વાયદા કર્યા છે. જેમાં તેમણે ખાતરી આપી છે કે જો તે ધારાસભ્ય તરીકે ચૂંટાશે તો તેમનો પગાર પોતાના માટે ખર્ચ કરવાના બદલે ધોરાજી-ઉપલેટા મત વિસ્તારના તમામ જાતિના જરૂરિયાતમંદોને મેડીકલ સહાય કરવામાં ઉપયોગ કરશે.
જે માટે તેઓ ખાસ કમિટી બનાવશે. જેથી નાણાંની મદદ યોગ્ય વ્યક્તિને થઇ શકે. આ ઉપરાંત, ધારાસભ્યોને ગાંધીનગરમાં 300 વારનો પ્લોટ મળતો હોય છે. તે પ્લોટ પર મકાન બનાવીને પોતાના માટે ઉપયોગ કરવાને બદલે તે પોતાના વિસ્તારમાં બિન રાજકીય ટ્રસ્ટ બનાવીને તે મકાન ટ્રસ્ટને સોંપી દેશે. જ્યાં તેમના મત વિસ્તાર લોકો ગાંધીનગર અમદાવાદ સારવાર માટે જાય ત્યારે રહેવાની વ્યવસ્થા આ મકાનમાં કરી આપશે. સાથે જ સ્થાનિક વિસ્તારના પ્રશ્નો તેમની પ્રાથમિકતા રહેશે. તેવી પણ ખાતરી આપી છે. આમ, ભાજપનો ગઢ ગણાતી મહત્વની બેઠક પર કોગ્રેસના સ્થાનિક ઉમેદવારે મહત્વની જાહેરાત કરીને પહેલી બાજી જીતી લીધી છે.