ભાગલા પાડો અને રાજ કરો એ કોંગ્રેસના DNAમાં છે: મોદી
મોદીએ હળવાશથી જણાવ્યું કે ભારતમાં કોઇ રાજનૈતિક પાર્ટીનું અધ:પતન થાય એ મારા મતે દેશ હિતમાં નથી. છેલ્લા 12 વર્ષમાં કોંગ્રેસ પાર્ટીનું અધ:પતન થયું છે. પરંતુ મારે મન એ દેશ માટે સારી બાબત નથી ઉલટાનું મારે ખુશ થવું જોઇએ કે કોંગ્રેસ ખાડે જઇ રહી છે. પણ ના એ દેશની છબિ માટે સારી બાબત નથી. છતાં કોંગ્રેસ પાર્ટીએ બધી લાજ શરમ નેવે મૂકી દીધી છે. કોંગ્રેસનો અહંકાર સાતમાં આસમાને છે.
તેમણે જણાવ્યું કે 'થોડા દિવસ પહેલાની વાત છે, દિલ્હીમાં કેન્દ્રીય ઊર્જા મંત્રીએ એવું કામ કર્યું કે આખી દુનિયામાં દેશની આબરૂના લીરેલીરા ઉડાવી દીધા. ત્રણ દિવસ માટે દેશની 70 કરોડ જનતા અંધારપટમા રહી. આખો દેશ 21મી સદીમાં અંધારપટમાં રહ્યો. અરે વિશ્વના દરેક મીડિયાએ તેની નોંધ લીધી અને લખ્યું કે ભારતમાં છવાયો અંધારપટ પરંતુ તેમણે છેલ્લા ફકરામાં લખ્યું હતું કે માત્ર ગુજરાત પ્રકાશમાં ઝગમગતું હતું. મિત્રો કેવી રીતે દેશનું ખોટું સાંભળી લેવાય. પણ કોંગ્રેસમાં હજી લાજશરમ રહી નહીં અને તેણે શું કર્યું આ ઊર્જામંત્રી નિષ્ફળ જવા છતાં તેમને પ્રમોશન આપી ગૃહમંત્રી બનાવી દીધા.'
નરેન્દ્ર મોદીએ સલમાન ખુર્શીદ અને તેમની પત્ની પર પણ પ્રહારો કરતા જણાવ્યું કે 'તેમણે અને તેમના પત્ની વિકલાંગની સંસ્થા ચલાવે છે, અને તેમણે વિકલાંગોના રૂપિયા પણ ના છોડ્યા, ખાઇ ગયા. અને કોંગ્રેસે શું કર્યું તેમને પણ પ્રમોશન આપી વિદેશમંત્રી બનાવી દીધા.'