નવરાત્રીમાં મતદાન જાગૃતિ અભિયાન, રમાશે ચૂંટણી ગરબો
આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાનની શરૂઆત નવરાત્રીમાં કરવામાં આવશે. આ વર્ષે મતદાન જાગૃતિ અભિયાન માટે લેવાયો નિર્ણય. આ અંગે વધુ
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ આગામી 25 સપ્ટેમ્બરે નવી મતદાર યાદી જાહેર કરશે. રાજ્યમાં આગામી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજવા જઇ રહી છે. જેની તંત્ર દ્વારા જોરશોરથી તૈયારી આરંભી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 7 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે. નવા મતદારોનો ઉમેરો થતા આ આંકડો 4.34 કરોડે પહોંચશે. આ સાથે જ રાજ્યમાં મોટા પ્રમાણમાં ચૂંટણીમાં મતદાન થાય તે માટે રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા દરેક જિલ્લા ચૂંટણી અધિકારીને નવરાત્રીમાં દરરોજ આરતી પહેલા ચૂંટણીનો એક ગરબો કરવાનું કહેવામાં આવ્યુ છે. આમ, નવરાત્રીમાં મતદાર જાગૃતી અભિયાનની શરૂઆત કરવામાં આવશે.
નોંધનીય છે કે, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એલ.પી.પાડલીયાએ રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ-કલેકટરને મતદાર જાગૃતિ અભિયાન માટેનો પત્ર મોકલ્યો છે. પત્રમાં નવરાત્રિ પર્વમાં દરરોજ આરતી પહેલાં એક ચૂંટણી ગરબો થાય તેવું આયોજન કરવા જણાવ્યું છે. તેનો અમલ થતાં વડોદરામાં યોજાતાં ગરબામાં એક સાથે હજારો યુવક-યુવતીઓ ચૂંટણીના થીમ સાથે ગરબે ઘૂમતા જોવા મળશે. વડોદરામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર અધિક મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચના મળતાં ચૂંટણીના ગરબાની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં લાગી ગયું છે.