ગુજરાત પોલિટિક્સના 'દાદા' અને રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાની અંતિમ વિદાય
ગુજરાત પોલિટિક્સના 'દાદા' અને રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાની અંતિમ વિદાય
રાજકોટઃ ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું બીમારીને પગલે ગુરુવારે નિધન થયું. મનોહરસિંહ દાદા 82 વર્ષના હતા. તેમના પર્સનલ આસિસ્ટન્ટે જણાવ્યા મુજબ દાદા અલ્ઝાઈમરની બીમારીથી પીડાતા હતા. અલ્ઝાઈમરની બીમારીને કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસથી મેડિકલ સારવાર હેઠળ હતા. પોતાના પેલેસમાં જ દાદાએ અંતિમ શ્વાસ લીધા. ગુજરાતના રાજકારણમાં દાદાનું મહત્વનું યોગદાન રહ્યું, તેમના સંચાલને ગુજરાતના રાજકારણને નવી દિશા આપી હતી.
18મી નવેમ્બર 1935ના રોજ મનોહરસિંહજી જાડેજાનો જન્મ રાજકોટના પ્રદ્યુમન સિંહજી જાડેજાના ઘરે થયો હતો. ભૂતકાળમાં તેઓ રાજકોટના રાજા હતા. મનોહરસિંહજીએ રાજ કુમાર કોલેજમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ ક્રિકેટર, રાજકુમાર અને રાજનેતા હતા. 1955-56માં રણજી ટ્રોફીની ફર્સ્ટ-ક્લાસ મેચથી તેઓએ ક્રિકેટમાં ડેબ્યૂટ કર્યું હતું. એ સમયે તેઓ સૌરાષ્ટ્ર તરફથી ગુજરાત ટીમની સામે રમ્યા હતા. તેઓ 14 રણજી ટ્રોફીની મેચ રમ્યા અને સૌરાષ્ટ્ર ટીમની કમાન પણ તેમણે સંભાળી હતી.
બાદમાં મનોહરસિંહજી કોંગ્રેસમાં જોડાયા અને 1967થી 1995 સુધી ત્રણ વખત ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તેઓએ કેબિનેટ મંત્રી તરીકેની સેવા પણ બજાવી છે. ઉપરાંત તેઓ ગુજરાત સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) અને ગુજરાત કોંગ્રેસ કમિટિના વાઈસ પ્રેસિડન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
મનોહરસિંહજી ગુજરાતમાં 'દાદા' તરીકે પ્રખ્યાત છે અને રવિપિયુ નામથી તેઓએ કેટલી કવિતા પણ લખી છે. દુઃખદ સમાચાર મળતાં પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી. મોદીએ ટ્વીટ કર્યું કે, 'ગુજરાતના પૂર્વ મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધનથી ભારે દુઃખ થયું છે. તેઓ એક સારા ધારાસભ્યની સાથે સારા સંચાલક પણ હતા.' કોંગ્રેસના સિનિયર નેતા શક્તિસિંજી ગોહિલે પણ દાદાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
મનોહરસિંહજી જાડેજાએ અલવરના રાજા તેજસિંહ પ્રભાકરની બીજી દીકરી માનકુમારી દેવી સાહિબા સાથે લગ્ન કર્યાં હતાં અને તેમનાથી દાદાને ત્રણ દીકરી અને એક દીકરો થયો. ગુરુવારે રાજકોટ સ્થિત આવેલા તેમના મહેલ રણજીત વિલાસ પેલેસમાં દાદાનું નિધન થયું. ઘટનાને પગલે સમગ્ર માત્ર રાજવી પરિવારમાં જ નહિ બલકે સમગ્ર રાજકોટ વિસ્તારમાં શોકનો માહોલ છે.
આ પણ વાંચો- ગુજરાતના રાજમહેલો : રાજવી ઠાઠમાઠના ઇતિહાસમાં ડોકિયું કરાવતા જીવંત પ્રતીક