ગુજરાતમાં દેવામાફી નથી, જાણો ખેડૂતો પર કેટલું છે દેવું?
તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો નિર્ણય લીધો છે, જો કે ગુજરાતમાં ભાજપ સરકારે આવી કોઈ રાહત નથી આપી.
તાજેતરમાં જ ત્રણ રાજ્યોમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસે ખેડૂતોની દેવા માફીનો નિર્ણય લીધો છે, જો કે ગુજરાતમાં ભાજપ સરકારે આવી કોઈ રાહત નથી આપી. અહીં સરકારનું માનવું છે કે રાજ્યના ખેડૂતો ખુશ છે, કારણે સરકાર તેમને ઘણી યોજનાઓ દ્વારા ટેકો આપી રહી છે. રાજ્યમાં ખેડૂતો એટલે મજબૂત સ્થિતિમાં છે કારણ કે ખેતીની સાથે સાથે તેઓ પશુપાલનનો વ્યવસાય પણ કરી રહ્યા છે. રાજ્ય સરકારે બીજા પણ કેટલાક દાવા કર્યા છે, પરંતુ આજે અમે તમને રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના આંકડા જણાવીશું સાથે જ જાણીશું ખેડૂતો ખુશ છે કે નહીં ?
આ પણ વાંચો: ગુજરાતમાં 6 મુખ્યમંત્રી બદલાયા, 100 કરોડનો ખર્ચ છતાંય નથી શરૂ થઈ કલ્પસર યોજના
ગુજરાતના 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 43 ટકા ખેડૂતો દેવામાં ડૂબેલા છે. અહીં 58.72 લાખ ગ્રામીણ પરિવાર છે અને તેમાંથી 66.9 ટકા લોકો ખેતી અને તેને સંલગ્ન વ્યવસાયમાં છે. કુલ 16.74 લાખ પરિવારો દેવા હેઠળ છે. આ ખેડૂતોએ ખેતી માટે બેન્કોમાંથી લોન લીધેલી છે.
2016-17માં 34.94 લાખ ખેડૂતોએ લોન લીધી
તો 34.94 લાખ પરિવારમાંથી 5.43 લાખ પરિવારો પાક લોન કે ટર્મ લોન લઈ ચૂક્યા છે. જેની કુલ રકમ 54,277 કરોડ રૂપિયા થાય છે. લોનની કુલ રકમમાંથી 20,412 કરોડ રૂપિયાની લોન ખેતી માટેના સાધનો ખરીદવા લેવાઈ છે. બાકીની 33,884 કરોડની પાક લોન છે. તો રાજ્યમાં પાક લોન માટે અરજી કરનાર ખેડૂતોની સંખ્યા વધી છે. 2014-15માં 22.49 લાખ ખેડૂતોએ લોન લીધી હતી, જ્યારે 2016-17માં આ સંખ્યા વધીને 34.94 લાખ થઈ ગઈ. આ આંકડા 55 ટકા વૃદ્ધિ દર્શાવે છે. પાક માટે લેવાયેલી લોન 28,730 કરોડથી વધીને 33,864 કરોડ થઈ ચૂકી છે.
સરકાર દેવું માફ કરવા નથી ઈચ્છતી
2 વર્માં ટર્મ લોન લેનાર ખેડૂતોમાં 40 ટકાનો વધારો થયો છે. 2014-15માં 3.88 લાખ ખેડૂતોએ 10,597 કરોડ રૂપિયાની ટર્મ લોન લીધી હતી. પરંતુ 2016-17માં આ રકમ વધીને 20,412 રૂપિયા થઈ ચકી છે. ગુજરાત સરકારના નાણા પ્રધાન નીતિન પટેલે કહ્યું છે કે સરકાર ખેડૂતોને જુદી જુદી યોજનાઓમાં આર્થિક લાભ આપે છે, એટલે ખેડૂતોની લોન વાત કરવાનો કોઈ ઈરાદો નથી.
ગુજરાતનો ખેડૂત પૈસાદાર છે કે દેવાદાર
ગુજરાતનો ખેડૂત પૈસાદાર છે કે દેવાદાર એ તો કૃષિ વિભાગના આંકડા જ દર્શાવે છે. પાછલા ત્રણ મહિનામાં 13 ખેડૂતો આર્થિક મુશ્કેલીને પગલે આત્મહત્યા કરી ચૂક્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા પરથી ખ્યાલ આવે છે ગુજરાતના દરેક ખેડૂતની માસિક આવક માત્ર 3,537 રૂપિયા છે.
ખેડૂત પરિવારનો સરેરાશ ખર્ચ છે 2,250 રૂપિયા
કેન્દ્રીય મંત્રાલયના 2017ના રિપોર્ટ પરથી ખ્યાલ આવે છે કે રાજ્યમાં ખેડૂત પરિવારનો સરેરાશ ખર્ચ 2,250 રૂપિયા છે. તો આવક 5,773 રૂપિયા છે. જેનાથી ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક જાણી શકાય છે. દેશમાં ગુજરાત કરતા હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખેડૂતોની માસિક આવક વધુ છે.