લોકગાયિકા ગીતા રબારી સામે નોંધાયો કેસ, 250 લોકોની હાજરીમાં બોલાવી હતી ડાયરાની રમઝટ
રાજ્યની લોકપ્રિય અને જાણીતી લોકગાયિકા ગીતા રબારી સામે ડાયરો યોજવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
ભૂજઃ રાજ્યની લોકપ્રિય અને જાણીતી લોકગાયિકા ગીતા રબારી સામે ડાયરો યોજવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પદ્ધર પોલિસ મથકે નોંધાયેલ કેસ મુજબ ભૂજ તાલુકાના રેલડી ગામમાં ફાર્મ હાઉસમાં પેડીના પ્રસંગમાં લોકગાયિકા ગીતા રબારી સહિતના કલાકારોએ ડાયરો યોજ્યો હતો. જેના કારણે ડાયરાના સંચાલક અને ડાયરો યોજવાની સંમતિ આપનાર ગીતા રબારી સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પદ્ધર પોલિસ મથકમાં નોંધાવી ફરિયાદ મુજબ ભૂજના રેલડી ગામમાં આવેલ લક્કી ફાર્મમાં પેડીનો કાર્યક્રમ સંજયભાઈ ઠક્કર દ્વારા રાખવામાં આવ્યો હતો. 21 જૂનની રાતે રેલડી ફાર્મ હાઉસ પર ડાયરો યોજવા માટે સંજયભાઈએ ગીતા રબારીને વાત કરી હતી અને ગીતા રબારીએ આ માટે સંમતિ પણ આપી હતી. સંમતિ મુજબ 21 જૂનની રાતે ગીતા રબારીએ પોતાના ગ્રુપ સાથે હાજર રહીને લોકડાયરો યોજ્યો હતો. કોરોના મહામારી હોવા છતાં લોકોના જીવ જોખમમાં મૂકાય તેવુ કૃત્ય કરવા બદલ બંને સામે કેસ કરવામાં આવ્યો. કલેક્ટરના જાહેરનામા તેમજ આઈપીસીની કલમ 188, 269, 270 હેઠળ બંને સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગીતા રબારીના આ ડાયરામાં 250થી વધુ લોકોએ હાજરી આપીને ડાયરાની રમઝટ બોલાવી હતી. આ ડાયરામાં ભાજપના પદાધિકારીઓ પણ હાજર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પેરોલ પર બહાર આવેલા જયંતી ઠક્કર પણ આ ડાયરામાં હાજર રહ્યા હોવાની વાતો ચર્ચાઈ રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ગીતા રબારીએ પોતાના ઘરે કોરોનાની વેક્સીન લીધી હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચારે તરફથી સવાલો ઉઠ્યા હતા કે ગીતા રબારીને ઘરે બેઠા વેક્સીન કઈ રીતે મળી. આ સંદર્ભે સરકાર તરફથી તેમને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.