આસારામના ભકતોને પૂર્વ આઇ પી એસ ઑફસર ડી જી વણઝારા એ શું કહ્યું!
વિવાદાસ્પદ સંત આસારામને જોધપુર કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવતા સાબરમતી મોટેરા આશ્રમમાં આવેલા સાધકો રીતસરના ભાંગી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા.
વિવાદાસ્પદ સંત આસારામને જોધપુર કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવતા સાબરમતી મોટેરા આશ્રમમાં આવેલા સાધકો રીતસરના ભાંગી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા. જો કે પૂર્વ આઇપીએસ અધિકારી અને આસારામના ભક્ત ડી જી વણઝારા આશ્રમ પર પહોંચ્યા હતા અને આશ્રમની અંદર સવારે છ વાગ્યાથી આસારામ માટે પ્રાર્થના કરી રહેલા ત્રણ હજાર સાધકો વચ્ચે પહોંચ્યા હતા અને આસારામ બાપુને થયેલી આજીવન કેદની સજા અંગે સાધકો વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બાપુ નિર્દોષ છે પણ તેમની સાથે સતત અન્યાય થઇ રહ્યો છે.
છેલ્લાં પાંચ વર્ષથી બાપુ જોધપુર જેલમાં છે. સાધકો સતત આંચકો મેળવી રહ્યા છે અને વર્ષ 2008માં બે માસૂમ બાળકોની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો, બાદમાં વર્ષ 2013માં બાપુ વિરૂધ્ધ સગીર યુવતીએ બાપુ વિરૂધ્ધ માની ન શકાય તેવો આરોપ બળાત્કારનો આરોપ મુક્યો અને પોલીસે તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા. જે આંચકો હતો અને આજે કોર્ટે તેમને આજીવન કેદની સજા કરીને સૌથી મોટો આચંકો આપ્યો છે. જ્યારે વણઝારાએ આસારામની સજાની વાત કરી ત્યારે સાધકો ધુસકે ધુસકે રડવા લાગ્યા હતા. બાદમાં ડીજી વણઝારાએ તેમને સમજાવ્યા હતા અને આગામી દિવસોમાં આવનારી મુશ્કેલી અંગે અને લડત કરવા અંગે પણ વાત કરી હતી.
તેમણે સાધકોને જણાવ્યું હતુ કે આપણે હવે વધારે જવાબદારી સાથે વર્તન કરવાનું છે કારણ કે પહેલા મીડીયા અને ટીકાકારો કહેતા હતા કે બાપુ વિરૂધ્ધ કેસ ચાલે છે અને સજા થશે ત્યારે આપણે કહેતા હતા કે બાપુ વિરૂધ્ધ કેસ ચાલે છે પણ આરોપ સાબિત નથી થયો પણ, આજે આરોપ સાબિત થતા હવે વિરોધીઓના મો વધુ ખુલશે અને હવે હિંમત રાખીને આપણે બાપુ સાથે રહેવાનું છે. હજુ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના દ્વાર ન્યાય માટે ખુલ્લા છે. અને આપણે બાપુને પરત લાવીને રહીશુ. કારણ કે તેમના પર ખોટા આરોપ લગાવામાં આવ્યા છે.
લગભગ 45 મિનિટ સુધી ડી જી વણઝારાએ સાધકો સાથે વાત કરીને તેમના આઘાત અને ગુસ્સાને ઓછો કરવા પ્રયત્ન કર્યો હતો.